19 August, 2026 11:28 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા
આસામના સરકારી કર્મચારીઓ માટે બીજી વાર લગ્ન કરવાં હવે ભારે પડી શકે છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોમવારે અત્યંત મહત્ત્વનો આદેશ આપતાં જણાવ્યું હતું કે જો કોઈ સરકારી કર્મચારી પહેલી પત્નીને કાયદેસર છૂટાછેડા આપ્યા વિના અન્ય સ્ત્રી સાથે રહેતો હશે અથવા એક્સ્ટ્રા-મૅરિટલ અફેર ધરાવતો હશે તો તેના પગારમાંથી સીધી ૨૦ ટકા રકમ કાપવામાં આવશે.
સૌથી નોંધપાત્ર વાત એ છે કે કાપવામાં આવેલી આ ૨૦ ટકા રકમ સરકારના ભંડોળમાં જમા નહીં થાય પરંતુ સીધી પહેલી પત્નીના બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે પહેલી પત્નીએ સરકારમાં માત્ર એક સાદી અરજી કરવાની રહેશે. મુખ્ય પ્રધાનના જણાવ્યા મુજબ જો છૂટાછેડાનો આ કેસ કોર્ટમાં ચાલતો હશે તો પણ તેનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી આ પગાર કપાતો રહેશે.
આસામ સરકાર અગાઉ પોતાનાં વૃદ્ધ માતાપિતાની દેખરેખ ન રાખનાર સરકારી કર્મચારીઓના પગારમાંથી પણ ૧૦ ટકા રકમ કાપી ચૂકી છે.