25 March, 2026 11:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
હરીશ રાણા
૨૦૧૩થી કોમામાં રહેલા અને પૅસિવ ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનારા સૌપ્રથમ ભારતીય ૩૧ વર્ષના હરીશ રાણાએ ગઈ કાલે દિલ્હીમાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં છેલ્લા શ્વાસ લીધા હતા. તેને ૧૪ માર્ચે તેના ગાઝિયાબાદના ઘરેથી AIIMSની ડૉ. બી. આર. આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ રોટરી કૅન્સર હૉસ્પિટલના પૅલિએટિવ કૅર યુનિટમાં ખસેડવામાં આવ્યો હતો. એના ૩ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચે એક ઐતિહાસિક ચુકાદામાં હરીશને પૅસિવ એટલે કે લાઇફ-સપોર્ટ સિસ્ટમ હટાવી લઈને ઇચ્છામૃત્યુ આપવાની મંજૂરી આપી હતી. હરીશ ૨૦૧૩માં ચોથા માળની બાલ્કનીમાંથી પડી ગયો હતો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તે કોમામાં હતો. તેને કૃત્રિમ પોષણ-સહાય અને ઑક્સિજન-સહાય મળતી હતી. હૉસ્પિટલમાં દાખલ થયા પછી તેનો પોષણ-આધાર ધીમે-ધીમે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.