29 July, 2026 10:11 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
ભારે વરસાદને કારણે ગઈ કાલે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના માલદેવતા ચોક નજીક થયેલા ભૂસ્ખલનને પગલે રસ્તા પર વિશાળ ખડક આવી પડ્યો હતો.
દેશનાં વિવિધ રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાતાં ભારે વરસાદે આફત સર્જી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે પશ્ચિમ બંગાળથી ઉત્તરાખંડ સુધી ૧૫૦૦ કિલોમીટરના વિસ્તારમાં વાદળાં ઘેરાયાં છે. ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની અલર્ટ જાહેર કરવામાં આવી છે.
ચંબામાં પૂરની હોનારત : હિમાચલ પ્રદેશના ચંબામાં સોમવારે રાત્રે મુશળધાર વરસાદ બાદ પૂર આવ્યું હતું. સરોલ વિસ્તારમાં ઘરોના પ્રથમ માળ સુધી કાટમાળ ભરાઈ ગયો હતો અને અનેક ગાડીઓ દટાઈ ગઈ હતી.
ચારધામ યાત્રા સ્થગિત : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભૂસ્ખલનને કારણે કેદારનાથ નૅશનલ હાઇવે બંધ થઈ ગયો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા બે દિવસ માટે રોકી દેવાઈ છે.
ચંડીગઢમાં કરન્ટ લાગતાં મોત: દિલ્હી અને ચંડીગઢમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલ બહાર કરન્ટ લાગવાથી PhDની વિદ્યાર્થિનીનું કરુણ મોત થયું હતું.
વીજળી પડવાથી ત્રણ લોકોનાં મોત : મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે સાંજે વીજળી પડતાં ૧૧ વર્ષના બાળક સહિત ૩ લોકોનાં મોત થયાં હતાં.
ભારે વરસાદની ચેતવણી : IMDના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં આગામી ૬ દિવસ સુધી ભારે વરસાદ અને પૂરનું જોખમ છે.