21 April, 2025 07:18 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે હિન્દુઓમાં જાતિગત ભેદભાવનો અંત લાવવા માટે હિન્દુ સમુદાયના સભ્યોને ‘એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન’ના સિદ્ધાંતને અપનાવીને સુમેળ માટે પ્રયત્નશીલ રહેવા હાકલ કરી હતી.
અલીગઢની પાંચ દિવસની મુલાકાતે ગયેલા મોહન ભાગવતે બે શાખામાં સ્વયંસેવકો સાથે વાત કરી હતી. તેમણે હિન્દુ સમાજના પાયા તરીકે સંસ્કાર (મૂલ્યો)ના મહત્ત્વની વાત કરી હતી અને કહ્યું હતું કે કુટુંબ સમાજનો મૂળભૂત એકમ રહે છે.
મોહન ભાગવતે સ્વયંસેવકોને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવા વિનંતી કરી હતી અને તેમનાં ઘરોમાં પાયાના સ્તરે સંવાદિતા અને એકતાનો સંદેશ ફેલાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે શાંતિ માટેની વૈશ્વિક જવાબદારી નિભાવવા માટે ભારતમાં સાચી સામાજિક એકતા પ્રાપ્ત કરવી મહત્ત્વપૂર્ણ છે. રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના પાયાને મજબૂત કરવા માટે તહેવારોની સામૂહિક ઉજવણીને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું.