27 August, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લખનઉથી બૅન્ગલોર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ-નંબર 6E-231માં ગઈ કાલે બૉમ્બની ધમકીનો પત્ર મળી આવતાં ગભરાટ ફેલાયો હતો. આ ફ્લાઇટ બૅન્ગલોરના કેમ્પેગૌડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ 1 પર પહોંચ્યા પછી આ ધમકી મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન હવામાં હતું ત્યારે ક્રૂને પત્ર મળ્યો હતો. ક્રૂએ તાત્કાલિક પાઇલટને જાણ કરી હતી, જેમણે ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને જાણ કરી હતી. ત્યાર બાદ સુરક્ષા-તપાસ માટે વિમાનને રનવે નજીક એક નિયુક્ત સ્થાન પર પાર્ક કરવામાં આવ્યું હતું અને બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસની ટીમો અને તપાસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિમાનની સંપૂર્ણ તપાસ કરી હતી. જોકે વિમાનમાંથી કંઈ પણ વાંધાજનક મળી આવ્યું નહોતું. શરૂઆતમાં એવી શંકા છે કે કોઈ મુસાફરે ધમકીનો પત્ર બોર્ડમાં મૂક્યો હશે. સુરક્ષા-એજન્સીઓ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.