11 August, 2026 11:08 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાંચીમાં વિધાનસભા ઘેરવા આવેલા આંદોલનકારીઓ માટે કાંટાળી વાડ બનાવવામાં આવી હતી અને તેમના પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ઝારખંડના રાંચીમાં ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JPSC-JSSC) પરીક્ષામાં ગેરરીતિઓ સામે ૧૭ દિવસથી વિરોધ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે જૂની વિધાનસભા પાસે એકઠા થયા હતા અને પછી વિધાનસભાને ઘેરવા માટે નીકળ્યા હતા. પોલીસે છસ્તરીય સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દીધી હતી. દેવેન્દ્રનાથ મહતો સહિત ૬ વિદ્યાર્થીઓ ભૂખહડતાળ પર છે. તેમને વિધાનસભા પરની કૂચમાં સ્ટ્રેચરમાં ઉપાડીને લાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે હવે માત્ર મુખ્ય પ્રધાન હેમંત સોરેન સાથે જ વાતચીત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ વિધાનસભામાં આવે નહીં એ માટે પોલીસે કાંટાળા તારથી બૅરિકેડ્સ લગાવી દીધી હતી, પણ હજારો વિદ્યાર્થીઓ ગઈ કાલે બૅરિકેડ્સ તોડીને વિધાનસભાના ગેટ પાસે પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે તેમને ગેટ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેઓ ખસ્યા નહીં ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા હતા અને તેમને ભગાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અનેક વાર અથડામણ થઈ હતી અને બેથી ૩ વાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને માથામાં ઈજા થઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પાણીની બૉટલો અને ચંપલ પણ ફેંક્યાં હતાં. પોલીસે વૉટરકેનનો ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ બૅરિકેડ્સ પર ચડીને નાચતા જોવા મળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું.
આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળનો ઉપયોગ ખોટો છે. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે અને ફક્ત વાતચીત જ ઉકેલ લાવી શકે છે. ઝારખંડ સરકારે આ વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએ અને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ.’
પત્રકાર અમન ચોપડાની બ્રેકફાસ્ટ ટેબલ પર અટકાયત
રાંચીમાં વિરોધ-પ્રદર્શનોનું રિપોર્ટિંગ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર અમન ચોપડાએ આરોપ લગાવ્યો હતો કે ઝારખંડ પોલીસે આંદોલનના કવરેજ વિશે FIR નોંધતા પહેલાં બ્રેકફાસ્ટ-ટેબલ પરથી મારી થોડી વાર માટે અટકાયત કરી હતી અને પૂછપરછ કરી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં અમન ચોપડાએ કહ્યું હતું કે ‘વિરોધ-પ્રદર્શનો અને ઝારખંડ વિધાનસભા તરફ કૂચનું કવરેજ કરી રહેલા ઘણા અન્ય પત્રકારોને પણ પોલીસે અટકાયતમાં લીધા હતા અને પૂછપરછ કરી હતી. ઝારખંડ સરકારને ચિંતા છે કે સત્ય બહાર આવશે. એટલા માટે તે પત્રકારોને તેમનું કામ કરતાં અટકાવી રહી છે. FIR એ કિંમત છે જે અમારે અમારું કામ કરવા માટે ચૂકવવી પડે છે.’
JPSCના ભૂતપૂર્વ ચૅરમૅનની ધરપકડ
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ JPSCના ભૂતપૂર્વ ચૅરમૅન એલ. ક્યાંગટેની ધરપકડ કરી છે. તેમણે ૨૧ જુલાઈએ JPSCની ઑફિસ પર દરોડા બાદ રાજીનામું આપી દીધું હતું. CID સતત તેમની પૂછપરછ કરી રહી હતી. આ કેસમાં આ વીસમી ધરપકડ છે. આ પહેલાં ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.