કૈલાસ માનસરોવર યાત્રા માટે ૧૦૦૦ ભાગ્યશાળી શ્રદ્ધાળુઓનું લિસ્ટ ફાઇનલ થઈ ગયું

22 May, 2026 10:55 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

લિપુલેખ પાસ અને નાથુ લા પાસ એમ બે રૂટથી ૫૦-૫૦ના જૂથમાં ૨૦ બૅચમાં યાત્રા થશે: મોટરેબલ રોડને કારણે હવે પગપાળા યાત્રા ઓછી કરવી પડશે

ગઈ કાલે દિલ્હીમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય અધિકારીઓની હાજરીમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રૉ દ્વારા કૈલાસ માનસરોવર યાત્રાના હજાર યાત્રાળુઓની પસંદગી થઈ હતી.

૨૦૨૬ની કૈલાસ માનસરોવરની યાત્રા માટે જેમણે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એમના માટે ગઈ કાલે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે મોટી જાહેરાત કરી હતી. તેમણે કમ્પ્યુટર ડ્રૉ કરીને આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા કરનારા ૧૦૦૦ શ્રદ્ધાળુઓની ફાઇનલ યાદી જાહેર કરી હતી. આ વખતે યાત્રાળુઓની યાદી તૈયાર કરવા માટે સંપૂર્ણપણે નિષ્પક્ષ અને કમ્પ્યુટર-જનરેટેડ રૅન્ડમ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. એમાં મહિલાઓ અને પુરુષોની સંખ્યાનું સંતુલન જાળવવા વિશે પણ ધ્યાન રખાયું હતું.

જૂનથી ઑગસ્ટ દરમ્યાન થનારી આ યાત્રામાં કુલ ૧૦૦૦ ભાગ્યશાળી યાત્રાળુઓની પસંદગી થઈ ચૂકી છે. આ તમામ યાત્રાળુઓને ૫૦ લોકોના કુલ ૨૦ બૅચમાં મોકલવામાં આવશે. કૈલાસ માનસરોવર યાત્રાનો રૂટ અને અન્ય વિગતવાર માહિતી વેબસાઇટ પર અપલોડ થઈ ગઈ છે. 

લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એની ખબર કઈ રીતે પડશે?

વિદેશ ખાતાના કહેવા મુજબ જે શ્રદ્ધાળુઓનું નામ લિસ્ટમાં સમાવાયું હશે તેમને મેસેજ અને ઈ-મેઇલના માધ્યમથી નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. એ ઉપરાંત પણ જો કોઈ શ્રદ્ધાળુએ ચેક કરવું હોય તો http:/kmy.gov.in પર જઈને લૉગ-ઇન કરીને પોતાનું સિલેક્શન સ્ટેટસ ચેક કરી શકે છે. રૂટ અને બૅચને લઈને વિગતે માહિતી જોઈતી હોય તો હેલ્પલાઇન નંબર ૦૧૧-૨૩૦૮૮૨૧૪ નંબર પર કૉલ કરીને ડાયરેક્ટ હેલ્પ મેળવી શકાશે.  કમ્પ્યુટરના ડ્રૉમાં તમારું નામ જે રૂટ અને જે બૅચમાં સિલેક્ટ થયું છે એને બદલી નહીં શકાય. જો કોઈ બહુ જ મોટી મજબૂરી હોય અને ઠોસ કારણ હોય તો ગ્રુપ બદલવાની અરજી આપી શકો છો, પણ એ ત્યારે જ સ્વીકારાશે જો બીજા કોઈ ગ્રુપમાં સીટ ખાલી હશે.

હવે પગપાળા ટ્રેકિંગ નહીં કરવું પડે 

આ વર્ષની યાત્રા માટે બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે. એક લિપુલેખ પાસ અને બીજો નાથુ લા પાસ. શ્રદ્ધાળુઓ માટે હવે આ બન્ને રૂટ મોટરેબલ રસ્તાઓ ધરાવતા થઈ ગયા છે. એનો મતલબ એ કે હવે ભક્તોએ બહુ ઓછું પગપાળા ચાલવું પડશે. તેઓ ઇચ્છે તો આસાનીથી ગાડીઓ દ્વારા સફર પૂરી કરી શકશે. 

national news india uttarakhand religious places char dham yatra indian government