21 August, 2026 11:26 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લખનઉના ગોમતીનગરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે જેમાં એક બૅન્ક-કર્મચારી માનસ વાજપેયીએ ધોળા દિવસે પત્ની દિવ્યા મિશ્રાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. દિવ્યા ICICI બૅન્કની બ્રાન્ચમાં રિલેશનશિપ મૅનેજર હતી. પત્નીની હત્યા બાદ આરોપીએ વૉટ્સઍપ સ્ટેટસ મૂક્યું કે પત્નીએ બેવફાઈ કરી હોવાથી હત્યા કરી છે અને હવે તે પોતાની બહેનની હત્યા કર્યા બાદ પોતે પણ મરી જશે.
સ્ટેટસ મૂક્યા બાદ માનસ હુસરિયા વિસ્તારમાં ગયો જ્યાં તેણે પોતાની બહેન શીબાની પણ ગોળી મારીને હત્યા કરી દીધી અને ત્યાર બાદ જાતને પણ ગોળી મારી દઈને આપઘાત કરી લીધો હતો. મરતાં પહેલાં તેણે સ્ટેટસમાં લખ્યું હતું કે દિવ્યાની બહેન અને જાણીતી યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રા તથા તેનો પતિ બધું જ જાણે છે.
પોલીસે જણાવ્યું કે આ ડબલ મર્ડર અને આપઘાતના કેસની સઘન તપાસ માટે પોલીસની પાંચ વિશેષ ટીમો બનાવવામાં આવી છે. દંપતી વચ્ચે અગાઉથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. પોલીસ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે.