13 May, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉના આશિયાના વિસ્તારમાં અંદાજે ૨૫૦ જેટલા ઝવેરીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી મોકૂફ રાખવાની અપીલ કરવામાં આવી છે, જેના પગલે ઉત્તર પ્રદેશના ઝવેરીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે લખનઉના આશિયાના વિસ્તારમાં અંદાજે ૨૫૦ જેટલા ઝવેરીઓએ એકઠા થઈને આ અપીલ સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ અસોસિએશનના ઉત્તર પ્રદેશ એકમના વડા મનીષકુમાર વર્માએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાનની આ ટિપ્પણીથી બુલિયન વેપારીઓ અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો કારીગરો તથા મજૂરો માટે આર્થિક સંકટ ઊભું થશે. જો આગામી બે-ત્રણ દિવસમાં સરકાર દ્વારા આ વેપારને બચાવવા માટે રાહતનાં કોઈ પગલાં જાહેર કરવામાં નહીં આવે તો તેઓ પોતાની દુકાનોની ચાવીઓ કેન્દ્ર સરકારને સોંપી દેવા મજબૂર બનશે.’