07 May, 2026 07:10 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
મમતા બેનર્જી
ગઈ કાલે મમતા બૅનરજીએ પોતાના કાલીઘાટ પરના ઘરે તૃણમૂલ કૉન્ગ્રેસના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. એમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મમતાએ પશ્ચિમ બંગાળના જનાદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવાનો ઇરાદો જાહેર કર્યો હતો. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલાં સૂત્રોએ જાણકારી આપી હતી કે મમતાએ BJP અને ચૂંટણીપંચ પર ચૂંટણીમાં ગોલમાલ કરવાના ગંભીર આરોપ લગાવ્યા હતા અને ચૂંટણીમાં થયેલી ગોલમાલ અને હિંસા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ કરી લીધી છે. ગઈ કાલે મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘મને ડિસમિસ કરવી હોય તો કરો, પણ રાજીનામું નહીં આપું. ચૂંટણીપંચની ગોલમાલનો વિરોધ કરવાનો આ એક રસ્તો છે. હું અને મારી સહયોગી ચંદ્રિમા ભટ્ટાચાર્ય સહિત કેટલાક નેતાઓ તમને ફરીથી કોર્ટમાં વકીલાત કરતા જોવા મળી શકે છે.’
મમતા બૅનરજીના આ વલણને TMCના પ્રેસિડન્ટ અભિષેક બૅનરજીએ પણ સમર્થન આપ્યું હતું અને હાલની સ્થિતિમાં પદ ન છોડીને પાર્ટીનો વિરોધ નોંધાવવા સહમત થયા હતા. મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર ચાહે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે, પરંતુ આ નિર્ણય સત્તાવાર રીતે લેવાવો જોઈએ.’
વિજયે પાંચ બેઠક મેળવનારી કૉન્ગ્રેસનો સપોર્ટ લીધો, પણ સરકાર બનાવવા હજીયે ૬ સીટ ખૂટે છે: કટ્ટર દુશ્મનો DMK અને AIADMK વચ્ચે પાછલા બારણે ગઠબંધનની ચર્ચા
ભવાનીપુર અને નંદીગ્રામ બન્ને જગ્યાએથી વિધાનસભાની ચૂંટણી જીતેલા BJPના સુવેન્દુ અધિકારીએ ગઈ કાલે નંદીગ્રામમાં હનુમાનદાદાના મંદિરમાં જઈને તેમને હાથ જોડ્યા હતા. ગઈ કાલે એવી જોરદાર ચર્ચા હતી કે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાન તરીકે લગાતાર બે ચૂંટણીમાં મમતા બૅનરજીને હરાવનાર સુવેન્દુ અધિકારીનું નામ ફાઇનલ થઈ ગયું છે.