28 June, 2026 12:04 PM IST | Manipur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મણિપુરના કુકી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા કાંગપોક્પી જિલ્લામાં લાદવામાં આવેલી આર્થિક નાકાબંધીને કારણે આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે. ૫૦ કિલો ચોખાની ગૂણીનો ભાવ ૧૪૦૦થી ૧૭૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા થઈ ગયો છે, જ્યારે કાળાબજારમાં રાંધણગૅસના સિલિન્ડરનો ભાવ ૫૦૦૦ રૂપિયા થયો છે. પેટ્રોલ પણ હવે ૨૫૦થી ૨૮૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે.
નાગા જૂથોએ તાજેતરમાં નૅશનલ હાઇવે-ટૂ પર વિરોધ-પ્રદર્શનો અને રસ્તા રોકો કર્યા પછી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે અપહરણ કરાયેલા છ નાગાઓની હત્યા માટે ન્યાયની માગણી કરી હતી. આ પ્રતિબંધોને કારણે પહાડી જિલ્લાઓમાં ખોરાક અને અન્ય આવશ્યક પુરવઠો લઈ જતાં ફ્યુઅલ ટૅન્કરો અને ટ્રકોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્યાંક આવાં ટ્રકોને બાળી નાખવામાં આવ્યાં છે. પુરવઠાના અભાવને કારણે ઘણા લોકોને રસોઈ માટે લાકડાંનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.