29 June, 2026 07:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ `મન કી બાત`ના ૧૩૫મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બર મહિનામાં આવી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ અત્યારથી જ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP) માંથી બનેલી મૂર્તિઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવા અને સ્થાનિક કુંભારો દ્વારા આપણા દેશની પવિત્ર માટીમાંથી જ બનાવેલી ગણેશ પ્રતિમાઓ ખરીદવાની વિનંતી કરી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે `તમારા ઘર, સોસાયટી કે મંડળમાં સ્થાપિત થનારી બાપ્પાની મૂર્તિ આપણા સ્થાનિક કારીગરોના હાથે બનેલી હોવી જોઈએ. ખરીદતાં પહેલાં એ કયા દેશમાં અને કઈ સામગ્રીથી બની છે એની ચોક્કસ ચકાસણી કરો. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે `વોકલ ફૉર લોકલ`ના સંકલ્પને સાચી મજબૂતી મળે છે. માટીની મૂર્તિઓ પાણીમાં કુદરતી રીતે ઓગળી જાય છે, જેથી નદી-તળાવો અને પર્યાવરણ સુરક્ષિત રહે છે.’