26 October, 2021 05:06 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાજપ પાર્ટીનો લોગો
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક હાલમાં ચર્ચામાં છે. તેઓ એક પછી એક એવાં નિવેદન આપી રહ્યાં છે, જેને કારણે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તેમના નિવેદનથી ભાજપની ચિંતા વધી રહી છે. મોદી સરકાર સામે આંગળી ચિંધતા સત્યપાલ મલિક એક પછી એક સવાલ કરી રહ્યાં છે.
સત્યપાલ મલિકે પહેલા ત્રણ કૃષિ કાયદા પરતને સમર્થન આપ્યું હતું તો બીજી બાજુ હવે જમ્મુ કાશ્મીરમાં થયેલી ડીલ અને ગોવામાં ભષ્ટાચાર જેવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે. ભાજપથી લઈ આરએમએસના નેતાઓ પર સત્યપાલ મલિક નિશાન સાધી રહ્યાં છે. સત્યપાલ મલિક છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ સરકારથી વિપરીત વલણ અપનાવતાં જોવા મળી રહ્યાં છે.
રાજ્યપાલ સત્યપાલ મલિકે ગોવામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ગોવામાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે `ગોવામાં ભાજપ સરકાર કોરોના સામે યોગ્ય રીતે લડી શકી નથી, અને હું મારા નિવેદન પર સ્થિર છું.`
ગોવા સરકાર પર આક્ષેપ કરતાં સત્યપાલ મલિકે કહ્યું કે `ગોવા સરકારે જે પણ કર્યુ તેમાં ભ્રષ્ટાચાર હતો. ગોવા સરકાર પર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપને કારણે મને હટાવી દેવામાં આવ્યો. હું લોહિયાવાદી છું, મેં ચરણ સિંહ સાથે કામ કર્યુ છે, હું ભ્રષ્ટાચારને સહન નહીં કરી શકું.`
સત્યપાલ મલિકે કહ્યું, `ગોવા સરકાર દ્વારા ઘરે-ઘરે અનાજ વિતરણ કરવાની યોજના અવ્યવહારુ હતી. આ એક કંપનીના કહેવા પર કરવામાં આવ્યું હતું, જેણે સરકારને પૈસા આપ્યા હતા. મને કોંગ્રેસ સહિત ઘણા લોકોએ તપાસ કરવાનું કહ્યું હતું. મામલાની તપાસ કરીને વડાપ્રધાનને જાણ કરી હતી.
તેમણે કહ્યું કે ગોવા સરકારના વર્તમાન રાજ્યભવન તોડીને નવી બિલ્ડિંગ બનાવવા માંગતી હતી, પરંતુ તેની કોઈ જરૂર નહોતી. તેમણે કહ્યું કે જ્યારે સરકાર નાણાકીય દબાણ હેઠળ હતી ત્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે આજે દેશમાં લોકો સત્ય બોલતા ડરે છે.
સત્યપાલ મલિકે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા ત્યારે તેમની પાસે બે ફાઈલો આવી હતી. એક ફાઈલમાં અંબાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી ફાઈલ આરએસએસના વરિષ્ઠ અધિકારી અને મહેબૂબા સરકારના મંત્રી સાથે સંબંધિત હતી. આ નેતાઓ પોતાને પીએમ મોદીની નજીક ગણાવતા હતા.
રાજ્યપાલે કહ્યું હતું કે જે વિભાગો પાસે આ ફાઈલો છે તેના સચિવોએ તેમને કહ્યું હતું કે આ ફાઈલોમાં ગડબડ છે અને સચિવોએ પણ તેમને કહ્યું હતું કે તેમને આ બંને ફાઈલોમાં 150-150 કરોડ રૂપિયા મળી શકે છે. પરંતુ, તેણે આ બે ફાઈલો સંબંધિત સોદો કેન્સલ કર્યો હતો. તેમણે આગળ જણાવ્યું કે, ` ફાઈલ લઈને વડાપ્રધાન પાસ ગયો હતો, તેમણે મને ભ્રષ્ટાચાર મામલે કોઈ પણ બાંધછોડ ન કરવા કહ્યું હતું.`