30 August, 2026 02:49 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જુઅલ ઓરામ
જનજાતિ બાબતોના કેન્દ્રીય પ્રધાન જુઅલ ઓરામે આરોપ લગાવ્યો છે કે અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા કેટલાક લોકો તેમની રાજકીય સ્થિતિ નબળી પાડવા અને તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી દૂર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. આ નિવેદન ઓડિશાના રાઉરકેલામાં તેમના સહાયક રાકેશ પાસવાનની સંગઠિત ગુનાના કેસમાં ધરપકડ બાદ આવ્યું છે. પાસવાન પર ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ છે.
સુંદરગઢ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા જુઅલ ઓરામે આ મુદ્દે કહ્યું હતું કે ‘પૈસાનો ઉપયોગ કરીને જો કોઈ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો હું તેના હાથ કાપી નાખીશ અને ફેંકી દઈશ. તેઓ માને છે કે જો મને પ્રધાનમંડળમાંથી કાઢી મૂકવામાં આવશે તો એ તેમના માટે તક ઊભી થશે. હું આ પક્ષ (BJP)ને સારી રીતે જાણું છું અને પાર્ટી મારા યોગદાનને ઓળખે છે.’
જુઅલ ઓરામે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે સ્ટીલ સિટી રાઉરકેલામાં રાજ્ય સરકારના ગેસ્ટહાઉસમાં ગુનેગારોને આશ્રય આપવાના આરોપમાં પકડાયેલા મારા સહયોગી રાકેશ પાસવાન સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તો મને કોઈ વાંધો નથી.