વરસાદ અને પૂરને કારણે ઉત્તરાખંડમાં ૭૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન, ૩૫૦૦ને બચવાયા

22 October, 2021 09:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડમાં રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ૧૭ ટીમ, એસડીઆરએફની ૭ ટીમ અને પીએસીની ૧૫ કંપની તેમ જ ૫૦૦૦ પોલીસો તહેનાત કરવામાં આવ્યા હતા

અમિત શાહે હવાઈ સર્વેક્ષણ કર્યું

ઉત્તરાખંડમાં તાજેતરમાં વરસાદને કારણે ઓછામાં ઓછા ૬૪ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૩૫૦૦ લોકોને બચાવી લેવાયા છે અને ૧૬,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સરકારે ગઈ કાલે જણાવ્યું હતું.

ઉત્તરાખંડમાં રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ૧૭ ટીમ, એસડીઆરએફની ૭ ટીમ અને પીએસીની ૧૫ કંપની તેમ જ ૫૦૦૦ પોલીસો તહેનાત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ડિઝૅસ્ટર રિલીફ ફન્ડમાંથી ઉત્તરાખંડને ૨૫૦ કરોડ રૂપિયા પૂરા પાડ્યા છે. સરકારે પાણીજન્ય રોગોને ફેલાતા રોકવા માટે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટુકડી મોકલાવી છે. ઉત્તરાખંડમાં નદીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચારધામ યાત્રા ફરી શરૂ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને લીધે બંધ કરવામાં આવેલી ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. જોકે બદરીનાથના રસ્તા હજી બંધ છે, જે વાતાવરણ અનુકૂળ થયા પછી ખોલવામાં આવશે. ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથની યાત્રા શરૂ કરવામાં આવી છે. ઋષિકેશ અને હરિદ્વારથી યાત્રાળુઓ ખાનગી અને સરકારી વાહનોમાં યાત્રાધામ તરફ આગળ વધી રહ્યા છે.

અમિત શાહે હવાઈ સર્વેક્ષણ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈ કાલે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. રાજ્ય સરકારે પૂરને લીધે લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂક્યો છે. કુમાઉ વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ બાદ જૉલીગ્રાન્ટ ઍરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતાં અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓની સતર્કતાને લીધે નુકસાન પર કાબૂ મેળવી શકાયો છેઅગાઉ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ત્રણ દિવસના અવિરત વરસાદને પગલે રાજ્યને ૭૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ મુક્યો હતો.

national news uttarakhand amit shah