પુત્રવધૂ પાસેથી ભરણપોષણ માગવાનો સાસુ-સસરાને અધિકાર નથી

01 April, 2026 10:56 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે કહ્યું હતું કે દીકરાની પત્નીએ સાસુ-સસરાનું ધ્યાન રાખવું જોઈએ એ નૈતિક દાયિત્વની અવધારણા છે

પ્રતીકાત્મક તસવીર

પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દીકરાની વહુ પાસેથી ભરણપોષણ માગવાની અરજી કરનારાં સાસુ-સસરાને અલાહાબાદ હાઈ કોર્ટે ઝટકો મળે એવો ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે દીકરાની પત્નીએ સાસુ-સસરાનું ધ્યાન રાખવું જોઈએ એ નૈતિક દાયિત્વની અવધારણા છે, પરંતુ એને કોઈ કાનૂની દાયિત્વના રૂપમાં લાગુ ન કરી શકાય.

અરજીમાં સાસુ-સસરાએ આગરાની ફૅમિલી કોર્ટના ચુકાદાને પડકાર આપ્યો હતો. તેમનો દીકરો ઉત્તર પ્રદેશ પોલીસમાં કૉન્સ્ટેબલ હતો. પાંચ વર્ષ પહેલાં તેનું મૃત્યુ થતાં દીકરાને મળનારા તમામ લાભો તેમની પુત્રવધૂને આપવામાં આવ્યા હતા અને એ અંતર્ગત પુત્રવધૂ હવે ઉત્તર પ્રદેશ પોલીસમાં કૉન્સ્ટેબલ છે. આને કારણે સાસુ-સસરાએ સેક્શન ૧૨૫ અંતર્ગત પુત્રવધૂ તેમને ભરણપોષણ આપવા બાધ્ય છે એવો દાવો કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ‘નૈતિક દાયિત્વની દૃષ્ટિએ તેનાં સાસુ-સસરાની માગણી યોગ્ય છે, પરંતુ એવો કોઈ કાયદો નથી કે જેના અંતર્ગત પુત્રવધૂને ભરણપોષણ આપવા માટે કાનૂની રીતે બાધ્ય કરી શકાય.’ 

national news india sex and relationships uttar pradesh