11 February, 2025 09:06 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
પરિવાર સાથે મહાકુંભમાં મુકેશ અંબાણીએ કરી પૂજા
મુકેશ અંબાણીએ તેમનાં માતા કોકિલાબેન, દીકરાઓ આકાશ અને અનંત, પુત્રવધૂ શ્લોકા અને રાધિકા, પૌત્ર પૃથ્વી અને વેદ, બહેનો દિપ્તી સલગાંવકર અને નીના કોઠારી પણ સંગમમાં પવિત્ર સ્નાન માટે જોડાયાં હતા. તેમની સાથે મુકેશ અંબાણીના સાસુ પૂર્ણિમાબેન દલાલ અને ભાભી મમતાબેન દલાલ પણ હાજર હતાં. નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરીજી મહારાજે ગંગા પૂજા કરી. ત્યાર બાદ મુકેશ અંબાણી પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજને મળ્યા હતા. અહીં આશ્રમ ખાતે અંબાણી પરિવારે મીઠાઈઓ અને લાઈફ જેકેટનું વિતરણ કર્યું હતું.
પ્રયાગરાજમાં ચાલી રહેલા ભવ્ય મહાકુંભ મેળામાં નેતા, અભિનેતાઓથી માંડીને હવે ઉદ્યોગ જગતના દિગ્ગજો પણ સામેલ થઈને આદ્યાત્મિક અનુભવ લઈ રહ્યાં છે. 11 ફેબ્રુઆરી મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, માતા કોકિલાબેન અંબાણી, પત્ની નીતા અંબાણી, બન્ને દીકરા આકાશ અને અનંત અંબાણી અને તેમની વહુઓ સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. અંબાણી પરિવાર સાથે ટીમના 30 સભ્યો પણ સામેલ હતા.
અંબાણી પરિવાર બપોરે 3 વાગ્યાની આસપાસ પ્રયાગરાજ પહોંચ્યો હતો. તેઓ છ ચાર્ટર પ્લેન દ્વારા બપોરે 3 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ આવ્યા હતા. અંબાણી પરિવાર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનમાં પણ સામેલ થયા હતા. આ પછી તેઓ નિરંજની સેક્ટર 9 સ્થિત પીઠાધીશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીની શિબિરમાં ભોજન સેવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્વામી કૈલાશાનંદે જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મદદથી તેમના કેમ્પમાં ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે.
મહાકુંભમાં પહોંચ્યા બાદ અંબાણી પરિવારે સંગમમાં બોટિંગની મજા માણી હતી. અંબાણી પરિવાર 3 વાગ્યે અહીં પહોંચ્યો અને ત્યાંથી ત્રિવેણી સંગમ જવા નીકળ્યો હતો. તેમની સાથે ટીમના 30 સભ્યો પણ હાજર હતા. સ્વામી કૈલાશાનંદએ કહ્યું કે તેમના કેમ્પમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મદદથી ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે. આ ભંડારામાં મુકેશ અંબાણી ભક્તોને ભોજન પણ પીરસશે એવું કહેવામાં આવી રહ્યું છે અને તેમણે અહીંના ખલાસીઓ અને સફાઈ કામદારોને પણ ભેટ આપી. અંબાણી પરિવાર અહીં થોડો સમય સંતો-મુનિઓ સાથે રહ્યા બાદ તે મુંબઈ પહોંચશે.