સમાચાર શોર્ટમાં: હિમેશ રેશમિયાએ સાળંગપુરમાં હનુમાનદાદાના શરણે શીશ નમાવીને લીધા આશીર્વાદ

26 February, 2026 08:54 AM IST  |  Sarangpur | Gujarati Mid-day Correspondent

મંદિરમાં સ્વામીએ હિમેશ રેશમિયાનું ફૂલોનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને દાદાનો દોરો બાંધ્યો હતો.

ઍક્ટર હિમેશ રેશમિયાએ તેમના પરિવાર સાથે હનુમાનજીદાદાનાં દર્શન કર્યાં હતાં

ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે બૉલીવુડના જાણીતા સિંગર, મ્યુઝિક-કમ્પોઝર અને ઍક્ટર હિમેશ રેશમિયાએ તેમના પરિવાર સાથે હનુમાનજીદાદાનાં દર્શન કર્યાં હતાં. તેણે મંદિરમાં માથું ટેકવીને દાદાના આશીર્વાદ લીધા હતા. હિમેશ રેશમિયાએ ભક્તિભાવપૂર્વક હનુમાનજીદાદાનાં દર્શન કરીને, મંદિરમાં બેસીને પ્રાર્થના કરી હતી. મંદિરમાં સ્વામીએ હિમેશ રેશમિયાનું ફૂલોનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને દાદાનો દોરો બાંધ્યો હતો.  

સરકારે અશ્ળીલ સામગ્રી દર્શાવતાં પાંચ OTT પ્લૅટફૉર્મને બ્લૉક કર્યાં

અશ્ળીલ સામગ્રી સ્ટ્રીમ કરી રહેલાં પાંચ ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મને સરકારે મંગળવારે બ્લૉક કર્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયે મૂડઍક્સવીઆઇપી, કોયલ પ્લેપ્રો, ડિજી મૂવીપ્લેક્સ, ફીલ અને જુગ્નુના ઍક્સેસની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને બ્લૉક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા હેઠળ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ એવા પ્લૅટફૉર્મના ઍક્સેસને પ્રતિબંધિત કરે જે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (ઇન્ટરમીડિએટરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 અને અશ્લીલ સામગ્રીને પ્રતિબંધિત કરતા કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. આ નિયમો ડિજિટલ મીડિયામાં જાહેર શિષ્ટાચાર જાળવવા, રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને નૈતિક પત્રકારત્વ પ્રથાઓ લાગુ કરવા માટે રચાયેલા છે.

બેલાસિસ ફ્લાયઓવરના ઉદ્ઘાટનનું મુરત આજે

તાડદેવ, નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનને જોડતા બેલાસિસ ફ્લાયઓવરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન નજીક રેલવેલાઇન પરનો ૧૩૦ વર્ષ જૂનો બ્રિટિશ યુગનો ફ્લાયઓવર જોખમી જાહેર થયા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને સેન્ટ્રલ રેલવેએ સાથે મળીને માત્ર ૧૫ મહિના ૬ દિવસના રેકૉર્ડ સમયમાં આ પુલનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા વિડિયો કૉન્ફરન્સિંગથી એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવાર તથા BMCનાં મેયર રિતુ તાવડે પણ ઉપસ્થિત રહેશે.

બનારસમાં ઊજવાઈ લઠમાર હોળી

ગઈ કાલે બરસાનામાં પરંપરાગત લઠમાર હોળીની જોરદાર ઉજવણી થઈ. રાધા રાણીના આ ધામમાં ગલીઓમાં ચોતરફ ગુલાલની છોળો વચ્ચે લોકોએ આસ્થા અને ઉલ્લાસ સાથે આ ઉત્સવ માણ્યો હતો.

પાકિસ્તાનમાં નકલી ડિગ્રી લઈને જજ આપી રહ્યો હતો ચુકાદા, તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો

પાકિસ્તાનમાં ઇસ્લામાબાદની હાઈ કોર્ટમાં એક જજ તારિક મહમૂદ જહાંગીરી નકલી ડિગ્રીના આધારે ચુકાદા આપી રહ્યો હતો. હવે તેના વિરોધમાં ૧૧૬ પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે અને તેને જજપદેથી હટાવી દેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જજની ડિગ્રી જ અમાન્ય હતી તેથી જજ તરીકેની તેની નિમણૂક પણ ખોટી હતી. આ જજે ૧૯૮૮માં ખોટા નામાંકન દ્વારા પરીક્ષા આપી હતી, પણ ત્યાં તે પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયો હતો અને તેના પર ૩ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બીજા જ વર્ષે બીજા સ્ટુડન્ટના નંબરનો ઉપયોગ કરીને તેણે ફરી પરીક્ષા આપી હતી. જે કૉલેજની તે ડિગ્રી બતાવી રહ્યો હતો એ લૉ કૉલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે જહાંગીરીએ તેમની કૉલેજમાં ઍડ્‍મિશન જ લીધું નહોતું.

national news india gujarat sarangpur religious places himesh reshammiya