22 October, 2021 09:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેન્નઈ : તિરુચી ખાતે ગાર્મેન્ટની દુકાનની બહાર એની ઓપનિંગના દિવસે જ ભારે ભીડ એકઠી થતાં પોલીસને દુકાન બંધ કરાવવાની ફરજ પડી હતી. દુકાનની બહાર ભીડ એકઠી થવા પાછળનું કારણ દુકાનના માલિક દ્વારા સવારે દુકાનના ઉદ્ઘાટનના પ્રમોશનના ભાગરૂપે માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ આપવાની કરવામાં આવેલી જાહેરાત હતી. હકીમ મોહમ્મદે મનાપ્પરાઈમાં પૉસ્ટર્સ લગાવી એક વાગ્યાના સમય સુધી આવનારા ગ્રાહકોને માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ આપવાની જાહેરાત કરી હતી તથા આ માટે તેણે ૧૦૦૦ ટી-શર્ટ પણ લઈ રાખ્યાં હતાં. જોકે ભીડ વધતાં પોલીસે ફરજિયાત દુકાન બંધ કરવાની ફરજ પાડતાં માત્ર ૧૦૦ જ ટી-શર્ટ વેચી શકાયાં હતાં.
ભોપાલ : ભારતીય વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ઍરક્રાફ્ટ ગુરુવારે મધ્ય પ્રદેશના ભિન્ડ જિલ્લામાં ક્રૅશ થયું હતું. જોકે સદનસીબે પાઇલટ સુરક્ષિત બચી ગયો હતો.
રાજ્યની પાટનગરી ભોપાલથી ૫૦૦ કિલોમીટરના અંતરે આ અકસ્માત સર્જાયો હતો. ભિન્ડ જિલ્લાના બરૌલી વિસ્તારના મનકાબાગ ગામમાં ઍરક્રાફ્ટ ક્રૅશ થયું હતું. ઍરક્રાફ્ટને લેફ્ટનન્ટ અભિલાષ ઉડાવી રહ્યા હતા જે પૅરાશૂટની મદદથી નીચે આવતા હોય એવું દૃશ્ય એક સ્થાનિકના વિડિયોમાં કેદ થયું છે. તેમને શરીરે સામાન્ય ઈજા પહોંચી છે.
નવી દિલ્હી : ગુરુવારે કેન્દ્રીય કૅબિનેટ દ્વારા સરકારી કર્મચારીઓના ડિયરનેસ અલાઉન્સ અને ડિયરનેસ રિલીફમાં વધારો કરવામાં આવ્યો છે. કૅબિનેટે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરીને ૩૧ ટકા કર્યું છે.
આ વધારાનો લાભ કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનરોને મળશે. આ નિર્ણયને કારણે સરકાર પર વાર્ષિક ૯૪૮૮ કરોડ રૂપિયાનું ભારણ વધશે. ગયા જુલાઈ મહિનામાં સરકારે અલાઉન્સ ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યું હતું.
ગાઝિયાબાદ : દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદે ગાઝીપુરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કારણે બંધ રસ્તાઓને ખોલવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને ત્રણ સપ્તાહમાં આ પિટિશનનો જવાબ આપવાનું કહ્યું છે.ખેડૂતોના સૌથી મોટા સંગઠન સંયુક્ત કિસાન મોરચા અને એના પેટા-સંગઠન ભારતીય કિસાન યુનિયન દ્વારા રોડ બ્લૉક કર્યો હોવાની વાતને રદિયો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ રોડ બ્લૉક ન કરી શકો.
વૉશિંગ્ટન : અમેરિકાના રાજદૂતે ભારત સાથેની સરહદ પર ચીનના વલણની ટીકા કરી છે. રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા નિયુક્ત બીજિંગના અમેરિકી રાજદૂત નિકોલસ બર્ન્સે સેનેટ ફૉરેન રિલેશન કમિટીના સભ્યોને સંબોધતાં કહ્યું હતું કે હિમાલયમાં આવેલી સરહદોમાં ભારત સામે ચીનનું વલણ હુમલાખોરીનું રહ્યું છે.
અમેરિકી રાજદૂતે જણાવ્યું હતું કે ચીનને જ્યાં-જ્યાં જરૂર પડશે ત્યાં-ત્યાં અમેરિકા પડકારશે. જો ચીન દ્વારા અમેરિકાનાં મૂલ્યો અને હિતોના વિરોધ થતાં પગલાં ભરાશે, અમેરિકા કે તેના સહયોગીઓની સુરક્ષા પર જોખમ ઊભું કરાશે અથવા આંતરરાષ્ટ્રીય સરહદો સાથે ચેડાં કરવામાં આવશે તો અમેરિકા ચીનને પડકારશે. નિકોલસ બર્ન્સે ઉમેર્યું હતું કે હિમાલયમાં આવેલી સરહદો પર ભારત સામે ઉપરાંત વિયેતનામ, ફિલિપીન્સ અને દક્ષિણ ચીની સમુદ્રમાં અન્યો સાથે તેમ જ પૂર્વ ચીની સમુદ્રમાં જપાન સામે ચીનનું વલણ હુમલાખોરીનું રહ્યું છે.