16 March, 2026 10:33 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાઓ અંગે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આગામી ચૈત્રી નવરાત્રિ અને વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને મંદિર સંકુલની અંદર મોબાઇલ ફોન અને હથિયારો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
આ મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે ‘રામ જન્મભૂમિ સંકુલમાં કડક સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દર્શન માટે સુરક્ષા ગાર્ડ સાથે આવનારી કોઈ પણ વ્યક્તિને સંકુલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રિવૉલ્વર, તલવાર અથવા બંદૂક જેવાં લાઇસન્સપ્રાપ્ત શસ્ત્રો સાથે પણ સંકુલમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. જોકે સિખ ભાઈઓના અધિકારો અનુસાર ફક્ત એક નાનું, કાયદેસર રીતે માન્ય કિરપાણ ગળામાં પહેરી શકાય છે. આ છૂટ ફક્ત સિખ સમાજના સભ્યો માટે છે.’