મે મહિનામાં ૨૭ દિવસમાં ૧૨,૪૩,૦૬૩ ભક્તોએ વાળ ચડાવ્યા તિરુપતિ બાલાજીને

02 June, 2026 07:08 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભક્તોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભક્તોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા. આ આંકડો ગયા બે વર્ષના મે મહિનાના મુંડન કરતાં ઘણો વધારે છે. ૨૦૨૫ના મે મહિનામાં ૧૦,૧૮,૩૭૦ ભક્તોએ અને ૨૦૨૪ના મે મહિનામાં ૧૦,૬૫,૭૨૯ ભક્તોએ મુંડન કરાવ્યું હતું.

બોલચાલમાં તિરુપતિ બાલાજી તરીકે પણ કહેવાતા ભગવાન વેન્કટેશ્વરને વાળ ચડાવવાની પરંપરા ગરમીની સીઝનમાં ખૂબ વધી ગઈ છે. ગયા મહિનાના પહેલા ૨૭ દિવસમાં જે સંખ્યામાં ભક્તોએ માથું મૂંડાવ્યું એનાથી દુનિયાના સૌથી મોટા ‘કલ્યાણકટ્ટા’ એટલે કે મુંડન કેન્દ્રનો રેકૉર્ડ બની ગયો છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓએ વાળના ચડાવવામાં થઈ રહેલા વધારાનું શ્રેય હાલની ગરમીને આપ્યું છે. માણસોના વાળને કાળું સોનું કહેવામાં આવે છે અને દુનિયાભરના બજારોમાં એની ખૂબ ડિમાન્ડ છે. TTD દર વર્ષે માણસોના વાળ વેચીને ૧૩૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. 

national news india tirupati andhra pradesh culture news religious places