૨૦૨૧ અને ૨૦૨૩માં ખરીદવામાં આવેલા મોબાઇલ ફોન પહલગામ અટૅક વખતે ઍક્ટિવ કર્યા આતંકવાદીઓએ

02 June, 2026 08:11 AM IST  |  Pahalgam | Gujarati Mid-day Correspondent

ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મળેલા બે મોબાઇલ ફોન કરાચી અને લાહોરની કંપનીઓએ ખરીદ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષે બાવીસમી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ચોંકાવનારા પુરાવા શોધી કાઢ્યા છે જેનાથી ફરી એક વાર પાકિસ્તાનનો નાપાક ચહેરો બેનકાબ થયો છે. હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોનમાં પાડોશી દેશનું કનેક્શન પકડાયું છે. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા બે મોબાઇલ ફોન ૨૦૨૧ અને ૨૦૨૩માં ખરીદવામાં આવ્યા હતા, પરંતુ આ ફોન પહલગામ હુમલા સુધી નિષ્ક્રિય રહ્યા હતા. પહલગામ હુમલા વખતે પહેલી વાર આ ફોન સક્રિય થયા હતા. આ મોબાઇલ ફોન એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા હતા.

૨૦૨૫ની ૨૮ જુલાઈએ પહલગામ હુમલામાં સામેલ ૩ આતંકવાદીઓ ફૈઝલ ઉર્ફે સલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફઘાનીને ઠાર કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી શાઓમી રેડમી સિરીઝના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેમાં એક રેડમી 9T અને બીજો રેડમી નોટ 12નો સમાવેશ થતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે ૨૦૨૧માં પાકિસ્તાનના કરાચીની ટેક સિરાત કંપનીએ રેડમી 9T મોબાઇલ ફોનનું સંપૂર્ણ કન્સાઇનમેન્ટ ઑર્ડર કર્યું હતું. શિપમેન્ટ માટે પાકિસ્તાનની ફૈઝલ બૅન્ક દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. શિપમેન્ટના દસ્તાવેજોમાં લૉજિસ્ટિક્સ કંપની અને ડિલિવરી સરનામું કરાચીમાં ફૈઝલ બૅન્કની મુખ્ય શાખા શહરાહ-એ-ફૈઝલ તરીકે નોંધાયેલું હતું. બીજો ફોન ૨૦૨૩માં લાહોરની ઍર લિન્ક કમ્યુનિકેશન કંપની દ્વારા ખરીદવામાં આવ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા સમયે બન્ને ફોન સક્રિય થયા હતા.

national news india Pahalgam Terror Attack jammu and kashmir terror attack indian army