06 April, 2026 11:43 AM IST | Noida | Gujarati Mid-day Correspondent
આ ઘટના બાદ વજન અને માપ વિભાગ અને જિલ્લા પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી અને પમ્પમાંથી પેટ્રોલના નમૂના એકત્રિત કર્યા હતા.
ગ્રેટર નોએડા શહેરના એચ્છર પાઇ સેક્ટરમાં આવેલા ઇન્ડિયન ઑઇલના પેટ્રોલ-પમ્પ પર ભેળસેળયુક્ત પેટ્રોલ વેચાતું હોવાનો કિસ્સો બન્યો છે. આ પેટ્રોલ-પમ્પ કંપની દ્વારા સંચાલિત છે. આ ઘટના બાદ વજન અને માપ વિભાગ અને જિલ્લા પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી અને પમ્પમાંથી પેટ્રોલના નમૂના એકત્રિત કર્યા હતા.
૨૩ માર્ચની રાતે કંપનીથી પમ્પ પર પેટ્રોલ લઈ જતું એક ટૅન્કર વરસાદને કારણે દીવાલ સાથે અથડાયું હતું, જેના કારણે ટૅન્કરને નુકસાન થયું હતું અને એમાં પાણી ઘૂસી ગયું હતું. આમ છતાં પેટ્રોલ-પમ્પના કર્મચારીઓએ બેદરકારી દાખવીને આખું ટૅન્કર ટાંકીમાં ખાલી કરી દીધું હતું, જેના કારણે પાણીમિશ્રિત પેટ્રોલ પમ્પની ટાંકીમાં જમા થઈ ગયું હતું.
પમ્પમાંથી પેટ્રોલ ભર્યા પછી ઘણા લોકોનાં વાહનો ખરાબ થવા લાગ્યાં ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇન્ડિયન ઑઇલના પેટ્રોલમાં પાણીની ભેળસેળ થઈ હતી. ત્યાર બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે ઇન્ડિયન ઑઇલ કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં સ્પષ્ટતા માગવામાં આવી છે.