રાષ્ટ્રપતિ વિવાદ પર નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત, જનતા મમતા બૅનરજીને પાઠ ભણાવશે

09 March, 2026 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કહ્યું કે આ રાષ્ટ્રપતિનું નહીં પરંતુ બંધારણનું અપમાન છે, એક દિવસ ઘમંડ બધું બરબાદ કરી નાખશે

નવી દિલ્હીમાં ભારતની પહેલી ‘રિંગ મેટ્રો’ને લીલી ઝંડી આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

નવી દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની મહિલાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવા બદલ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ને માફ કરશે નહીં, લોકો તેમને પાઠ ભણાવશે. પશ્ચિમ બંગાળમાં જે બન્યું એ રાષ્ટ્રપતિનું નહીં પરંતુ બંધારણનું અપમાન છે. ઘમંડથી ભરેલી વ્યક્તિ ગમે એટલી શક્તિશાળી હોય, આખરે નાશ પામે છે.’ શનિવારે રાષ્ટ્રપતિએ પશ્ચિમ બંગાળમાં એક કાર્યક્રમના સ્થળાંતર પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે બંગાળની તેમની મુલાકાત દરમ્યાન ન તો મુખ્ય પ્રધાન કે ન તો કોઈ પ્રધાન તેમનું સ્વાગત કરવા આવ્યાં હતાં. BJPએ આને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવ્યું હતું.

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ૩૩,૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. તેમણે જનરલ પૂલ રેસિડેન્શિયલ અકૉમોડેશન (GPRA) રીડેવલપમેન્ટ યોજના હેઠળ ૨૭૨૨ નવા બનેલા ફ્લૅટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે બે નવા મેટ્રો કૉરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું અને ત્રણ કૉરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.

દેશમાં ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ પૂરો થયો : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ પર જાહેરાત કરી હતી કે દેશમાં ૩ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ પૂરો થયો છે. પહેલાં એક કરોડ દીદીને લખપતિ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, પણ હવે ૩ કરોડ બહેનોએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી લીધી છે અને તેઓ લખપતિ દીદી બની ગઈ છે. આ મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ‘જ્યારે મેં આ લક્ષ્ય થોડાં વર્ષ પહેલાં મૂક્યું હતું ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી અને સોશ્યલ મીડિયામાં નકારાત્મક કમેન્ટ્સ કરવામાં આવી હતી. ઘણા પ્રકારે મારી ટીકા કરવામાં આવી હતી. જોકે આજે હું ગર્વથી કહી શકું છું કે ભારતની મહિલાઓમાં અપાર શક્તિ છે. જો તેમને અવસર મળે તો તેઓ નવી-નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે છે. સરકારની વિવિધ યોજનાઓ અને સેલ્ફ-હેલ્પ ગ્રુપના માધ્યમથી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોથી આ સંકલ્પ સાકાર થયો છે. દેશની માતાઓ અને બહેનોના આશીર્વાદથી આ કામ પૂરું થયું છે.’

narendra modi mamata banerjee droupadi murmu trinamool congress west bengal national news