09 March, 2026 02:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ભારતની પહેલી ‘રિંગ મેટ્રો’ને લીલી ઝંડી આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ૩૩,૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. તેમણે જનરલ પૂલ રેસિડેન્શિયલ અકૉમોડેશન (GPRA) રીડેવલપમેન્ટ યોજના હેઠળ ૨૭૨૨ નવા બનેલા ફ્લૅટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે બે નવા મેટ્રો કૉરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું અને ત્રણ કૉરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.
દેશમાં ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ પૂરો થયો : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ પર જાહેરાત કરી હતી કે દેશમાં ૩ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ પૂરો થયો છે. પહેલાં એક કરોડ દીદીને લખપતિ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, પણ હવે ૩ કરોડ બહેનોએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી લીધી છે અને તેઓ લખપતિ દીદી બની ગઈ છે. આ મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ‘જ્યારે મેં આ લક્ષ્ય થોડાં વર્ષ પહેલાં મૂક્યું હતું ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી અને સોશ્યલ મીડિયામાં નકારાત્મક કમેન્ટ્સ કરવામાં આવી હતી. ઘણા પ્રકારે મારી ટીકા કરવામાં આવી હતી. જોકે આજે હું ગર્વથી કહી શકું છું કે ભારતની મહિલાઓમાં અપાર શક્તિ છે. જો તેમને અવસર મળે તો તેઓ નવી-નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે છે. સરકારની વિવિધ યોજનાઓ અને સેલ્ફ-હેલ્પ ગ્રુપના માધ્યમથી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોથી આ સંકલ્પ સાકાર થયો છે. દેશની માતાઓ અને બહેનોના આશીર્વાદથી આ કામ પૂરું થયું છે.’