14 May, 2026 07:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીનો કાફલો
સામાન્ય રીતે વડા પ્રધાનની ગાડીમાં બારથી ૧૫ ગાડીઓનો કાફલો હોય છે. એમાં એક કારમાં વડા પ્રધાન હોય, બાકીની કારોમાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના કમાન્ડો હોય છે. જોકે નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલની કરકસર કરવા માટે દેશવાસીઓને અપીલ કરી છે એ પછી તેમણે પોતે એનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. ગઈ કાલે તેઓ પ્રધાનમંત્રી આવાસથી માત્ર બે જ ગાડીઓ સાથે નીકળ્યા હતા. ૧૨ ગાડીઓને બદલે માત્ર બે જ ગાડીઓ વાપરીને તેમણે કરકસરની અપીલ માટે જાતઉદાહરણ પૂરું પાડ્યું હતું. હવે નરેન્દ્ર મોદીની સાથે એક જ કારમાં SPG કમાન્ડો સાથે રહેશે. ગઈ કાલે તેઓ માત્ર બે જ કાર લઈને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમની સુરક્ષામાં તહેનાત SPG કમાન્ડોના કાફલાને ઘટાડ્યો હોવા છતાં સુરક્ષા-નિયમો મુજબ જરૂરી પ્રોટોકૉલ પહેલા જેવો જ જાળવી રાખ્યો છે.
નરેન્દ્ર મોદીની અપીલ પછી ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમના કાફલાની સાઇઝ ઘટાડી દીધી છે. સરકાર હવે એ વાત પર ભાર આપી રહી છે કે તમામ જરૂરી નિયમોનું પાલન કરીને પણ કુદરતી સંસાધનોની બચત કરી શકાય છે. અમિત શાહે પણ કાફલો ઘટાડ્યા પછી પણ CRPFની Z પ્લસ સિક્યૉરિટી પ્રોટોકૉલ અંતર્ગત સુરક્ષા-વ્યવસ્થા બરકરાર રાખી છે.
અન્ય રાજ્યોમાં પણ બદલાવ શરૂ -
૧. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલે તેમના કાફલામાં હવે માત્ર પાંચ જ કાર રાખવાનો આદેશ આપ્યો છે. પહેલાં તેમની સાથે ૧૪થી ૧૫ ગાડીઓ સામેલ થતી હતી.
૨. મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન મોહન યાદવના કાફલામાં ૮ વાહનો સામેલ થશે, પહેલાં ૧૩ વાહનો હતાં. મધ્ય પ્રદેશના ઊર્જાપ્રધાન પ્રદ્યુમન સિંહ તોમર સરકારી રહેઠાણથી ઈ-સ્કૂટર પર ઑફિસ પહોંચ્યા હતા.
૩. બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ વીકમાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ રાખવાની અપીલ કરી. સમ્રાટ ચૌધરીએ સોશ્યલ મીડિયા પર ફ્યુઅલ બચાવવા માટેની અપીલમાં જોડાઈને રાજ્ય માટે કેટલીક જાહેરાતો કરી હતી. તેમના ખુદના કાફલામાં ન્યુનતમ વાહનો રાખવાનો નિર્ણય લીધો હતો. એ ઉપરાંત પ્રધાનો, નિગમ બોર્ડના અધ્યક્ષ અને પદાધિકારીઓને વધારાનાં વાહનો વિના સાર્વજનિક કાર્યક્રમોમાં જવાની અપીલ કરી હતી. રાજ્યના તમામ સરકારી વિભાગોને કૉન્ફરન્સ અથવા તો બેઠકોનું આયોજન વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાજ્યની સરકારી ઑફિસોની કૅન્ટીનમાં પામ ઑઇલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનું કહ્યું. સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં વર્ક ફ્રૉમ હોમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વનું એ કે દરેક વ્યક્તિને વીકમાં એક દિવસ સ્વેચ્છાએ ‘નો વ્હીકલ ડે’ પાળવાનો આગ્રહ કર્યો હતો.
૪. દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા યાદવે કહ્યું હતું કે તેમની કૅબિનેટના પ્રધાનો, વિધાનસભ્યો અને અધિકારીઓ કારમાં ઓછામાં ઓછું સફર કરશે અને સાર્વજનિક વાહનો તેમ જ કાર-પૂલિંગને પ્રાથમિકતા આપશે.
૫. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગઈ કાલે પ્રધાનમંડળની બેઠકમાં જાહેરાત કરી હતી કે હવે તમામ સરકારી વિભાગોમાં મીટિંગો વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. પ્રાઇવેટ ક્ષેત્રોમાં પણ વર્ક ફ્રૉમ હોમને પ્રોત્સાહન આપવામાં આવશે. સાર્વજનિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ પ્રધાનોના કાફલામાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવશે. વીકમાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ જાહેર કરવામાં આવશે. સામાન્ય લોકો પણ વીકના એક દિવસના અભિયાનમાં જોડાય એવી અપીલ છે. ટ્રાન્સપોર્ટ વિભાગને પબ્લિક બસોની સર્વિસ અને ક્ષમતા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો માટે EV પૉલિસી બનાવવામાં આવશે. ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક પ્રાયોરિટી બેઝિસ પર વિસ્તારવામાં આવશે.