11 May, 2026 07:07 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના બૅન્ગલોર, તેલંગણના હૈદરાબાદ પછી નરેન્દ્ર મોદી ગઈ કાલે ગુજરાતના જામનગર પહોંચ્યા હતા. ત્યાં તેમને પાઘડી પહેરાવવામાં આવી હતી.
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને કારણે સર્જાયેલી કટોકટીને પગલે વિદેશી હૂંડિયામણ ઓછામાં ઓછું વાપરવાની હાકલ કરી વડા પ્રધાને : ફરીથી વર્ક ફ્રૉમ હોમ, ઑનલાઇન મીટિંગ અને વિડિયો-કૉન્ફરન્સિંગને અપનાવવાની અપીલ કરી
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ગંભીર તેલ-કટોકટી અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આગ્રહભરી અપીલ કરી હતી. તેલંગણના હૈદરાબાદ ખાતે આશરે ૯૪૦૦ કરોડ રૂપિયાનાં વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઈંધણની બચત કરવી એ રાષ્ટ્રહિતમાં અનિવાર્ય છે.
નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો થયો છે. આ નાકાબંધીને કારણે ભારત સહિત વિશ્વભરમાં ઊર્જાનું સંકટ ઘેરાયું છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે સમયની ડિમાન્ડ છે કે આપણે પેટ્રોલ, ગૅસ અને ડીઝલનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરીએ. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ઈંધણ આયાત કરે છે એટલે વિદેશી હૂંડિયામણ બચાવવા અને યુદ્ધની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે આયાતી પેટ્રોલિયમ પેદાશોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ.’
આ વક્તવ્યમાં નરેન્દ્ર મોદીએ અન્ય ૪ એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાસ્પદ બન્યા છે. તેમના જ શબ્દોમાં વાંચો...
વિદેશોમાં લગ્ન કરવાનું, વિદેશોમાં વેકેશન પર જવાનું કલ્ચર મિડલ ક્લાસમાં વધતું જાય છે. આપણે નક્કી કરવું પડશે કે જ્યારે આ સંકટનો સમય છે અને આપણી દેશભક્તિ આપણને લલકારી રહી છે ત્યારે કમસે કમ એક વર્ષ સુધી આપણે વિદેશ જવાની વાતને ટાળવી જોઈએ.
સોનાની ખરીદીમાં હજી એક એવી વસ્તુ છે જેમાં વિદેશી હૂંડિયામણ બહુ વપરાય છે. આપણે એ નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી ઘરમાં કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ કાર્યક્રમ હોય; આપણે સોનું નહીં ખરીદીએ, સોનાનાં ઘરેણાં નહીં ખરીદીએ.
ખાવાના તેલની આયાત માટે પણ આપણને મોટી સંખ્યામાં વિદેશી મુદ્રા વાપરવી પડે છે. દરેક પરિવાર જો ખાવાના તેલનો ઉપયોગ ઓછો કરે તો એ પણ દેશભક્તિનું મોટું કામ છે, તમે એમ કરીને દેશસેવામાં યોગદાન આપી શકો છો. એનાથી દેશસેવા પણ થશે અને દેહસેવા પણ થશે. એનાથી દેશના ખજાનાનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને પરિવારના દરેક સદસ્યનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કોરોનાકાળમાં આપણે વર્ક ફ્રૉમ હોમ, ઑનલાઇન મીટિંગ, વિડિયો-કૉન્ફરન્સિંગ અપનાવ્યું હતું – અત્યારના સમયની માગ છે કે આપણે એ બધા તરફ પાછા વળીએ.