ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેની ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની વિવાદની સાઇડ-ઇફેક્ટ

15 February, 2026 01:14 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મોટા સરકારી પદ પરથી નિવૃત્ત થયા બાદ ૨૦ વર્ષ સુધી પુસ્તક લખવા પર પ્રતિબંધ લાગે એવી સંભાવના

અપ્રકાશિત આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની`

સેના અને સરકાર સાથે સંકળાયેલા વરિષ્ઠ પદો પર રહી ચૂકેલા અધિકારીઓ માટે રિટાયરમેન્ટ પછી પુસ્તક લખવા વિશેના નિયમો સખત બનાવવા પર વિચાર થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ સરકાર એક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જેમાં સેના અને વરિષ્ઠ પદો પર રહી ચૂકેલા અધિકારીઓ એ નિવૃત્ત થયા બાદ કમસે કમ ૨૦ વર્ષનો કૂલિંગ-ઑફ પિરિયડ રાખવો જોઈશે. આ અવધિ પૂરી થયા પહેલાં તેઓ પોતાનું કોઈ પુસ્તક કે સંસ્મરણો પ્રકાશિત નહીં કરી શકે. આ સંદર્ભે બહુ જલદી ઔપચારિક આદેશ આવે એવી સંભાવના છે. 

ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની અપ્રકાશિત આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ને લઈને ચાલી રહેલા રાજનીતિક વિવાદ વચ્ચે આ નવા નિયમ પર મંથન થઈ રહ્યું છે. શુક્રવારે કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. ભલે આ મુદ્દો સત્તાવાર એજન્ડામાં સામેલ નહોતો, પરંતુ સામાન્ય ચર્ચા દરમ્યાન કેટલાક પ્રધાનોએ આ મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું કે ઉચ્ચ પદાધિકારીઓએ નિવૃત્તિ પછી એક લાંબા કૂલિંગ-ઑફ પિરિયડમાંથી પસાર થવું જરૂરી છે. એ પછી જ તેઓ પોતાનાં સંસ્મરણોને પુસ્તકરૂપે લખી શકે એવો નિયમ લાવવો જોઈએ.  

national news india indian government indian army delhi news new delhi political news