"દૃષ્ટિ ગુમાવી શકે છે": પૅલેટ ગનના હુમલામાં ઘાયલ થયેલા પીડિતને મળ્યા રાહુલ ગાંધી

21 August, 2026 03:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધી પહેલા સાહિલને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયા અને FIR નોંધવાની માગ કરી. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે આ માગણી સ્વીકારી નથી. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીની ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા લગભગ અડધો કલાક પોલીસ સ્ટેશનની અંદર વિતાવ્યો.

રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા (તસવીર: એજન્સી)

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પૅલેટ ગનથી ઘાયલ થયેલા સાહિલ લોહબાચ સાથે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા શરૂ કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સાહિલના શરીરમાં 200 થી વધુ ગોળીના પૅલેટ છે. તેમણે એમ પણ કહ્યું કે સાહિલની આંખમાં ત્રણ ગોળીઓ વાગી છે, જેના કારણે તે દૃષ્ટિ ગુમાવી શકે છે. કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી સાથે જોડાયા છે. સાહિલના માતા-પિતા અને તેમના વકીલ પણ પોલીસ સ્ટેશનની બહાર હાજર છે. રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવ્યું છે કે જ્યાં સુધી FIR નોંધવામાં ન આવે ત્યાં સુધી તેઓ સ્થળ છોડશે નહીં.

FIR નોંધવાની માગ

રાહુલ ગાંધી પહેલા સાહિલને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયા અને FIR નોંધવાની માગ કરી. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે આ માગણી સ્વીકારી નથી. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીની ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા લગભગ અડધો કલાક પોલીસ સ્ટેશનની અંદર વિતાવ્યો. ત્યારબાદ, રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી. તેમણે સાહિલના શરીરમાંથી કાઢવામાં આવેલી ગોળીઓ અને તેનો મૅડિકલ રિપોર્ટ બતાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું, "અમે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે: FIR નોંધો. છોકરાના માતા-પિતા અહીં છે. અમારી પાસે ફક્ત એક જ વિનંતી છે - કૃપા કરીને FIR નોંધો. પોલીસે અમને કહ્યું કે તેમને ઉપરથી FIR નોંધ ન કરવાનો આદેશ મળ્યો છે. પરંતુ FIR નોંધાય ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનની બહારથી ખસીશું નહીં." તેમણે ઉમેર્યું, "અમે ફક્ત આ પરિવાર માટે ન્યાય માગી રહ્યા છીએ. ભારતમાં, યુવાનો પર ગોળીબાર થઈ શકે છે, પરંતુ આ દેશમાં, અમિત શાહનું ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ ન્યાય નહીં આપે."

13 ઑગસ્ટથી પોલીસ સ્ટેશનોમાં પરિવાર જઈ રહ્યો છે

સાહિલના વકીલે જણાવ્યું કે 13 ઑગસ્ટથી પરિવારને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો છે. શરૂઆતમાં, તેમને કનૉટ પ્લેસ મોકલવામાં આવ્યા હતા. ત્યાં આખો દિવસ રાહ જોયા પછી, તેમને DCP (ક્રાઈમ બ્રાન્ચ) પાસે મોકલવામાં આવ્યા હતા. વકીલે દાવો કર્યો કે તેમને ત્યાં કહેવામાં આવ્યું હતું, "ઉપરથી આદેશ છે; FIR નોંધી શકાતી નથી." જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પૅલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં તેની તપાસ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ આ તપાસ અંગે માહિતી મેળવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

સુપ્રીમ કોર્ટ સમિતિ

જંતર-મંતર ખાતે બનેલી ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે. પૅલેટ ગનનો ઉપયોગ થયો હોવાની તપાસ અંગેની અરજીઓની સુનાવણી કરતી વખતે, કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિમાં ભૂતપૂર્વ સીબીઆઈ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન યુવતીઓ પર થયેલા હુમલા અને તેમના શોષણ અંગે રિપોર્ટ રજૂ કરવા સમિતિને નિર્દેશ આપવામાં આવ્યો છે. વિરોધીઓને તેમની ઓળખ ગુપ્ત રાખીને ફરિયાદ નોંધાવવાની અપીલ પણ કરવામાં આવી છે.

rahul gandhi jantar mantar social media congress new delhi cockroach janata party delhi police