Rajasthan Bus Accident: ખાટુશ્યામનાં દર્શને જઈ રહેલા વલસાડના યાત્રીઓને નડ્યો ઍક્સિડન્ટ- ત્રણનાં મોત

10 December, 2025 08:38 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

Rajasthan Bus Accident: વલસાડના આ તમામ પૅસેન્જર્સ વૈષ્ણોદેવીનાં દર્શન કરીને રીટર્ન થઇ રહ્યા હતા. તે લોકો આ જ બસમાં હવે ખાટુશ્યામજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે મંગળવારે મોડી રાત્રે એક ભીષણ રોડ ઍક્સિડન્ટ (Rajasthan Bus Accident) થયો હતો. ફતેહપુર-બીકાનેર હાઈવે પર એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અથડામણ થવાથી આ ઍક્સિડન્ટ થયો હતો. બન્ને વાહનોમાં આગ ભભૂકી ઊઠી હતી.

આ ભીષણ ઍક્સિડન્ટમાં ડ્રાઈવર સહીત ત્રણ લોકોનાં મોત થયાં છે. અન્ય અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જે સ્લીપર બસ આ ઍક્સિડન્ટનો ભોગ બની છે તેમાં આશરે પચાસ પૅસેન્જર્સ ટ્રાવેલ કરી રહ્યા હતા. વલસાડના આ તમામ પૅસેન્જર્સ વૈષ્ણોદેવીનાં દર્શન કરીને રીટર્ન થઇ રહ્યા હતા. તે લોકો આ જ બસમાં હવે ખાટુશ્યામજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા પરંતુ કમનસીબે ફતેહપુર પાસે જ હાઇવે પર પહોંચતાં જ સામેથી પુરઝડપે આવી રહેલ ટ્રક સાથે તેઓની સ્લીપર બસ અથડાઈ હતી. આ ઍક્સિડન્ટમાં બસનો ડ્રાઈવર કમલેશ અને પૅસેન્જર મયાંકનું ત્યાં ને ત્યાં જ મોત (Rajasthan Bus Accident) થયું હતું, જ્યારે ત્રીજા પૅસેન્જરનું મોત થયું હતું તેની ઓળખ વિષે માહિતી સામે આવી નથી. આ તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ આગળ વધી રહી હતી તે જ સમયે ઝુંઝુનૂથી બિકાનેર તરફ આવી રહેલ ટ્રક સાથે અથડાઈ (Rajasthan Bus Accident) હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે સ્લીપર બસનો આગળના ભાગનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પૅસેન્જર્સ પોતાની સીટ પરથી ઉભા પણ થઇ શકે તેવી સ્થિતિમાં નહોતા. તાત્કાલિક સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. બન્ને ટીમો ઘટનાસ્થળે દોડી આવતાં બસની અંદર ફસાયેલા પૅસેન્જર્સને બહાર કાઢવામાં આવ્યા હતા. અનેક પૅસેન્જર્સને ઈજાઓ થઇ છે. તમામ ઘાયલોને ફતેહપુર અને સીકરની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મીડીયા રિપોર્ટ અનુસાર જે જે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાં મહેશભાઈની પત્ની શૈતાન સિંહ, ગંગાબેન, ગોવિંદભાઈ, કંચન, સાકેત પાલ, લાડ્ડુનો પુત્ર વિષ્ણુ, રમીલા, રણજીત, અર્જુન, સંગીતા, પરિતેશ, અતુલ, ઇન્દુબેન, જીવનભાઈ વગેરેની સારવાર ચાલી રહી છે. 

બસમાં બીજી સીટ પર જ બેઠેલાં શીલાબેન જણાવે છે કે તેમના નાકમાં ફ્રેકચર થયું છે. અમે ખાટુશ્યામજી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. મોટાભાગના પૅસેન્જર્સ ઊંઘી રહ્યા હતા. હું મારા દીકરા સાથે બેથી હતી. તે સમયે આ ઍક્સિડન્ટ (Rajasthan Bus Accident) થયો.

હાલમાં આ ભીષણ રોડ ઍક્સિડન્ટ અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે આવી ગયેલ પોલીસની ટીમે હાઈવે પરના ટ્રાફિકને ફરીથી શરુ કરાવ્યો હતો. અત્યારે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને કઈ રીતે આ રોડ ઍક્સિડન્ટ થયો તેની તમામ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

national news india road accident bikaner rajasthan valsad gujarat news gujarat