14 May, 2025 09:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બેઠક યોજી હતી
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ ભારતે પાકિસ્તાન સરહદ પર સતર્કતા વધારી દીધી છે. આ સંદર્ભમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સુરક્ષા-પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ ઍડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે હાજરી આપી હતી. બેઠકમાં પશ્ચિમ સરહદની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને એનાથી સંબંધિત અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ દેશની સરહદોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો અને સંભવિત ખતરાનો સામનો કરવા માટેની તૈયારીઓનો અભ્યાસ કરવાનો હતો.