ચંપત રાયને ક્લીન ચિટ

08 July, 2026 09:38 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ મંદિરની દાનચોરીની તપાસ કરતી SITના રિપોર્ટમાં નામ નથી : CCTV કૅમેરાનાં ફુટેજમાં કર્મચારીઓ દિવસમાં ૭૦ વખત કપડાં અને બૂટમાં રોકડ છુપાવીને બહાર નીકળતા જોવા મળ્યાનો ધડાકો

પ્રચારક જીવનનાં ૪૫ વર્ષનો સંદર્ભ પ્રચારક તરીકેનાં તેમનાં ૪૫ વર્ષનો ઉલ્લેખ કરતાં ચંપત રાયે લખ્યું હતું કે ‘મને ઑક્ટોબર ૧૯૯૧માં અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. મારું પ્રચારક જીવન ૪૫ વર્ષનું છે. હું જ્યાં રહ્યો છું એ એક ખુલ્લી કિતાબ જેવું છે. બધાને આદરપૂર્વક નમન.’

રામ મંદિરની દાનચોરીની તપાસ કરતી SITના રિપોર્ટમાં નામ નથી : CCTV કૅમેરાનાં ફુટેજમાં કર્મચારીઓ દિવસમાં ૭૦ વખત કપડાં અને બૂટમાં રોકડ છુપાવીને બહાર નીકળતા જોવા મળ્યાનો ધડાકો

ચંપત રાયે મૌનવ્રત ધારણ કર્યું, રામભક્તોને લખ્યો ઓપન લેટર: કહ્યું કે SITનો ફાઇનલ રિપોર્ટ જાહેર થાય એ પછી તમામ મુદ્દાઓનો જવાબ આપીશ

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસના સંદર્ભમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીપદેથી રાજીનામું આપનારા ચંપત રાયે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર રામભક્તોને એક ખુલ્લો પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ‘આ મુશ્કેલ સમય છે અને હું એને દૂર કરવા માટે ધીરજ રાખી રહ્યો છું. મેં મૌન ધારણ કર્યું છે અને મારી સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે.’

ચંપત રાયે પોતાના પત્રની શરૂઆત રામચરિતમાનસના એક દોહાથી કરી હતી. તેમણે લખ્યું હતું કે धीरज धर्म मित्र अरु नारी, आपद काल परिखिअहिं चारी (પ્રતિકૂળતાના સમયમાં ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી એમ ચારેયની કસોટી થાય છે).

ચંપત રાયે આગળ લખ્યું હતું કે ‘૨૦૨૬ની ૭ જૂનથી શ્રી રામજન્મભૂમિ મંદિર સંકુલમાં દાનપેટીમાં ચડાવાની ગણતરી દરમ્યાન થયેલી ચોરી અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. મારી સામે વ્યક્તિગત રીતે અનેક પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. મેં મૌન ધારણ કરી લીધું છે. SITનો પ્રારંભિક રિપોર્ટ ૬ જુલાઈએ યોજાયેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જોકે એ ટૉપ સીક્રેટ હતો. હું તમને બધાને ખાતરી આપું છું કે SITનો અંતિમ અહેવાલ જાહેર થયા પછી હું વ્યવસ્થિત રીતે ફેલાવવામાં આવી રહેલા તમામ મુદ્દાઓનો જવાબ આપીશ. સંપૂર્ણ સત્ય બહાર આવશે.’

પ્રચારક જીવનનાં ૪૫ વર્ષનો સંદર્ભ
પ્રચારક તરીકેનાં તેમનાં ૪૫ વર્ષનો ઉલ્લેખ કરતાં ચંપત રાયે લખ્યું હતું કે ‘મને ઑક્ટોબર ૧૯૯૧માં અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. મારું પ્રચારક જીવન ૪૫ વર્ષનું છે. હું જ્યાં રહ્યો છું એ એક ખુલ્લી કિતાબ જેવું છે. બધાને આદરપૂર્વક નમન.’

ચંપત રાયે લગ્ન કેમ નથી કર્યાં

ચંપત રાય બિજનૌરના નગીના શહેરના સરાયમીર વિસ્તારના વતની છે. તેમના પિતા રામેશ્વર જીવનના શરૂઆતના સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય હતા. ચંપત રાય ૧૦ ભાઈ-બહેનોમાં બીજા નંબરના છે. તેમણે કેમિસ્ટ્રીમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું છે અને થોડા સમય માટે બિજનૌરના ધામપુરમાં RSM ડિગ્રી કૉલેજમાં કેમિસ્ટ્રી ભણાવ્યું હતું. બાદમાં તેઓ સામાજિક અને ધાર્મિક કામોમાં સામેલ થયા હતા. તેમણે લાંબા સમય સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

ચંપત રાય ભગવાન રામની સેવામાં એટલા સમર્પિત હતા કે તેમણે લગ્ન નહોતાં કર્યાં. તેમણે પોતાનું આખું જીવન રામ મંદિરને સમર્પિત કર્યું હતું. લોકો તેમને પ્રેમથી રામલલાના પટવારી કહે છે. ચંપત રાય પાછળથી RSSમાં જોડાયા હતા. ૧૯૭૫માં કટોકટી દરમ્યાન તેમણે ૧૮ મહિના જેલમાં વિતાવ્યા હતા. જેલમાંથી મુક્ત થયા પછી તેમણે નોકરી છોડી દીધી હતી અને સંઘના પ્રચારક બન્યા હતા.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચડાવા અને દાનની વિગતો જાહેર કરી: ૩૨૬૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું, ૨૩૭૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ થયું : બાકીની રકમ બૅન્કોમાં જમા

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સોમવારે મળેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં ટ્રસ્ટે મંદિરમાં મળેલા ચડાવા અને દાનની વિગતવાર નાણાકીય વિગતો જાહેર કરી હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર નિધિ સમર્પણ અભિયાન અને અન્ય સ્રોતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૨૬૪ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આમાંથી ૨૩૭૦ કરોડ રૂપિયા મંદિરના નિર્માણ અને અન્ય મૂડીગત કામો પર ખર્ચવામાં આવ્યા છે. ટ્રસ્ટની સ્થાપનાથી લઈને આ વર્ષની ૩૧ માર્ચ સુધીમાં રામલલાને દાન તરીકે ૫૮૨ કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી ૩૯૧ કરોડ રૂપિયા ટ્રસ્ટના કાર્ય પર ખર્ચવામાં આવ્યા હતા. બાકીની રકમ ટ્રસ્ટનાં બૅન્ક-ખાતાંઓમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. વિવિધ ગિફ્ટના મુદ્દે ટ્રસ્ટના ખજાનચીએ જણાવ્યું હતું કે ‘રોકડ દાન ઉપરાંત ભક્તોએ ૨૯૨૬ પ્રકારની વસ્તુઓ પણ દાનમાં આપી છે. આ બધી વસ્તુઓની જાણકારી તારીખ પ્રમાણે રજિસ્ટરમાં નોંધાયેલી છે અને દર વર્ષે એક સ્વતંત્ર ચાર્ટર્ડ અકાઉન્ટિંગ ફર્મ એમની ભૌતિક રીતે ચકાસણી કરે છે. ભક્તો તેમના દાનને ચકાસવા માટે ટ્રસ્ટનો સંપર્ક પણ કરી શકે છે.’

CEOની પસંદગી માટે ૩ સભ્યોની સમિતિની રચના
ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ની પસંદગી માટે ૩ સભ્યોની સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવડેનો સમાવેશ થાય છે. આ સમિતિ ટ્રસ્ટને એની ભલામણો પ્રસ્તુત કરશે.

ઇન્ટરનેટ પર ફરતા ચાંદીની ઈંટો અને અન્ય કીમતી ભેટો ગુમ થવાના આરોપો તપાસ દરમ્યાન ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ વસ્તુઓ રેકૉર્ડમાં હોવાનું જાણવા મળ્યું હતું.
ઑડિટ-રિપોર્ટમાં પહેલેથી જ ૧૮૦ દિવસ માટે CCTV કૅમેરાનાં ફુટેજ સાચવવા અને ઘણા સુધારા કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ એનો અમલ કરવામાં આવ્યો નહોતો.

national news india ayodhya ram mandir religious places