15 September, 2021 06:30 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક16 વર્ષીય બળાત્કારપીડિતાએ આત્મહત્યા કરી. પીડિતા સાથે દુષ્કર્મ કરનાર આરોપી તાજેતરમાં જ જામીન પર જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. આરોપી બહાર આવ્યો ત્યારથી પીડિતા ગભરાયેલી જોવા મળી હતી.
જરીપટકા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક નીતિન ફટાંગરેએ જણાવ્યું હતું કે, પિતા, સાવકી માતા અને ભાઈ સાથે રહેતી યુવતીએ 13 સપ્ટેમ્બરના રોજ જરીપટકા વિસ્તારમાં તેના ઘરમાં કથિત રીતે છત પરથી લટકી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી પર તેની સાવકી માતાના સંબંધીએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
બળાત્કારનો આરોપી તાજેતરમાં જ સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છૂટી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારથી આરોપી છુટ્યો ત્યારથી યુવતી હતાશ હતી. અધિકારીએ જણાવ્યું કે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.