લોન-રિકવરીવાળા હવે હેરાન, બદનામ નહીં કરી શકે

09 August, 2026 07:10 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

RBIએ જાહેર કર્યા નવા નિયમો, પહેલી જાન્યુઆરીથી અમલ : બૅન્કો અને એજન્ટો લોન લેનારને ધમકાવી ન શકે, દુર્વ્યવહાર કે જાહેરમાં બેઇજ્જતી પણ ન કરી શકે, સવારે આઠથી સાંજે ૭ વાગ્યાની વચ્ચે જ સંપર્ક કરવાની મંજૂરી

RBI

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ લોન-રિકવરી માટે નવું ફ્રેમવર્ક રજૂ કર્યું છે, જેનો હેતુ ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)ની ચુકવણી ચૂકી જતા દેવાદારોની હેરાનગતિ અટકાવવાનો છે. સુધારેલી ગાઇડલાઇન્સમાં બૅન્કો અને અન્ય ધિરાણકર્તાઓએ લોન રિકવરી કરતી વખતે કડક ધોરણોનું પાલન કરવાની જરૂર છે. આ ફ્રેમવર્કમાં ઉધાર લેનારા લોકોના સંદેશવ્યવહાર, રિકવરી-એજન્ટોના આચરણ, ફીલ્ડ-મુલાકાતો અને ટેક્નૉલૉજી-આધારિત રિકવરી-પદ્ધતિઓ પર નિયમો નક્કી કરવામાં આવ્યા છે. નવાં ધોરણો ૨૦૨૭ની પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે.
RBIએ બૅન્કો અને એજન્ટો દ્વારા લોન લેનારા લોકોને ધમકાવવા, દુર્વ્યવહાર કરવા અથવા જાહેરમાં બેઇજ્જતી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો હેઠળ આગામી વર્ષની પહેલી જાન્યુઆરીથી ધિરાણકર્તાઓ અને વસૂલાત-એજન્ટોને સામાન્ય રીતે સવારે આઠથી સાંજે ૭ વાગ્યાની વચ્ચે જ ઉધાર લેનારા લોકોનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે. એજન્ટો ધમકાવનારી ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં અથવા લોન લેનારાના પરિવાર, સંપત્તિ અથવા પ્રતિષ્ઠાને ધમકી આપી શકશે નહીં.
RBIએ ઔપચારિક રીતે ટેક્નૉલૉજી-આધારિત વસૂલાત-પદ્ધતિઓને નિયમનકારી માળખામાં પણ લાવી છે, જેમાં ફાઇનૅન્સ્ડ સ્માર્ટફોન, ટૅબ્લેટ અને લૅપટૉપના રિમોટ લૉકિંગનો સમાવેશ થાય છે.
RBIએ એજન્ટોને શોક, તબીબી કટોકટી અથવા લગ્નસમારોહ સહિતની સંવેદનશીલ વ્યક્તિગત પરિસ્થિતિઓ દરમ્યાન દેવાદારોનો સંપર્ક કરવાનું ટાળવાની સૂચના પણ આપી છે. RBIએ વસૂલાત હેતુ માટે સોશ્યલ મીડિયાના દુરુપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ધિરાણકર્તાઓ અને એજન્ટો લોન લેનારા લોકોની વ્યક્તિગત માહિતી, ફોટોગ્રાફ્સ, વિડિયો અથવા ઑડિયો-રેકૉર્ડિંગ્સ તેમને બેઇજ્જત કરવાના હેતુથી ઑનલાઇન શૅર કરી શકશે નહીં.
રિકવરી-એજન્સીએ પ્રથમ રૂબરૂ મુલાકાત લેતાં પહેલાં ઉધાર લેનારને ઓછામાં ઓછા એક દિવસ અગાઉ જાણ કરવી આવશ્યક છે. બૅન્કોએ કેસ સંભાળતી રિકવરી-એજન્સીની વિગતો પણ શૅર કરવાની રહેશે. નવા નિયમોમાં રિકવરી-એજન્ટોએ યોગ્ય ઓળખપત્ર રાખવાની પણ જરૂર છે. તેમની પાસે ઓળખકાર્ડ, અધિકૃતતા પત્ર અને સંબંધિત સૂચના હોવી આવશ્યક છે.
RBIએ ધિરાણકર્તાઓને રિકવરી સંબંધિત સંદેશવ્યવહારના રેકૉર્ડ જાળવીને રિકવરી-પ્રવૃત્તિઓ પર દેખરેખ મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. બૅન્કોએ રિકવરી વિશેની વાતચીત રેકૉર્ડ કરવાની અને કૉલનો સમય અને ફોન-નંબર જેવી વિગતો સાચવવાની જરૂર પડશે. આ રેકૉર્ડ સામાન્ય રીતે ઓછામાં ઓછા ૬ મહિના માટે રાખવો પડશે.

national news india reserve bank of india indian government