નરેન્દ્ર મોદીની વાત માનીને ભારત ૪૫ અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે

13 May, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

 નાણાકીય વર્ષ ૨૦૨૬ના ડેટા મુજબ ક્રૂડની આયાતમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી ૧૩.૫ અબજ ડૉલરની બચત થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઘટાડવા અને વિદેશી ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે કરવામાં આવેલી અપીલ જો અમલમાં આવે તો ભારત વાર્ષિક ૪૫ અબજ ડૉલરથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે. તાજેતરના એક વિશ્લેષણ મુજબ આયાતી તેલ, સોનું અને વિદેશપ્રવાસ જેવાં ક્ષેત્રોમાં સામાન્ય ફેરફાર કરવાથી દેશની તિજોરી પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. વિશ્લેષણ દર્શાવે છે કે જો ક્રૂડ ઑઇલ, સોનું અને ખાદ્ય તેલના વપરાશમાં માત્ર ૧૦ ટકા ઘટાડો કરવામાં આવે, ખાતરની આયાતમાં પચાસ ટકાનો કાપ મુકાય અને વિદેશપ્રવાસ પાછળ થતો ખર્ચ અટકાવવામાં આવે તો ભારતને મોટો આર્થિક લાભ થઈ શકે છે. તાજેતરમાં વડા પ્રધાને હાકલ કરી હતી કે યુદ્ધની વિપરીત અસરો ઘટાડવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આપણે પેટ્રોલ, ડીઝલ અને ગૅસનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે તથા એક વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશપ્રવાસ ટાળવાની જરૂર છે.

કેવી રીતે કેટલી બચત થશે?
 નાણાકીય વર્ષ ૨૦૨૬ના ડેટા મુજબ ક્રૂડની આયાતમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી ૧૩.૫ અબજ ડૉલરની બચત થઈ શકે છે. 
 ૨૦૨૫-’૨૬માં સોનાની આયાત ૭૨ અબજ ડૉલરના વિક્રમી સ્તરે પહોંચી છે. એમાં ૧૦ ટકા કાપ મૂકતાં ૭.૨ અબજ ડૉલર બચી શકે છે. 
  ખાદ્ય તેલની આયાતમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી આયાત બિલમાં ૧.૯૫ અબજ ડૉલરનો ઘટાડો થઈ શકે છે. 
  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખાતરનો ઉપયોગ ૫૦ ટકા ઘટાડવાની વિનંતી કરી છે, જેનાથી આશરે ૭.૩ અબજ ડૉલરની બચત અંદાજવામાં આવી છે.
  લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ નાણાકીય 
વર્ષ ૨૦૨૬માં આશરે ૨૮.૮ અબજ ડૉલર વિદેશ મોકલવામાં આવ્યા છે. વડા પ્રધાને મધ્યમ વર્ગમાં વધતાં વિદેશી લગ્નો 
અને વેકેશનના કલ્ચરને હાલના કટોકટીના સમયમાં રોકવાની અપીલ કરી છે. જો આ ખર્ચ પર એક વર્ષ માટે વિરામ મૂકવામાં આવે તો દેશમાં અંદાજે ૧૫.૮ અબજ ડૉલર જળવાઈ રહેશે.

national news india narendra modi indian government indian economy