27 July, 2026 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે LGBTQ સમુદાય ભારતીય સમાજનો એક ભાગ છે. તેઓ આદરને પાત્ર છે અને તેમને સમાજથી દૂર રાખવા જોઈએ નહીં. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું હતું કે, "LGBTQ સમુદાય અને તેના જેવા જૂથો સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. કેટલાક વ્યક્તિઓ આ રીતે જન્મે છે, જ્યારે અન્ય માનસિક અથવા શારીરિક પરિબળોને કારણે પાછળથી આ લક્ષણો વિકસાવે છે." તેમણે ઉમેર્યું હતું કે, "આપણી પરંપરા તેમના અસ્તિત્વને સ્વીકારે છે. તેઓ પણ માણસ છે અને તેમને જીવવાનો અધિકાર છે. તેમને સમાજમાંથી બાકાત રાખવા જોઈએ નહીં; સમાજમાં તેમના માટે એક સ્થાન છે."
ભાગવતે નોંધ્યું હતું કે ભારતમાં આવા સમુદાયોને લાંબા સમયથી સ્વીકારવામાં આવ્યા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, "આજે પણ, તેમના પોતાના દેવતાઓ, મંદિરો અને મહામંડલેશ્વર છે, અને તેઓ કુંભ મેળામાં ભાગ લે છે." તેમણે કહ્યું હતું કે ભારતીય સમાજ હંમેશા આવા વ્યક્તિઓ સાથે સંવેદનશીલતાથી વર્તે છે અને તેમના માટે પોતાની વચ્ચે જગ્યા બનાવી છે. આ પહેલી વાર નથી જ્યારે મોહન ભાગવતે LGBTQ સમુદાય વિશે વાત કરી હોય. જાન્યુઆરી 2023 માં RSS-સંલગ્ન મૅગેઝિન સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું હતું કે, "LGBTQ વ્યક્તિઓ પાસે પોતાની ખાનગી અને સામાજિક જગ્યા હોવી જોઈએ. તેઓ પણ માણસ છે અને તેમને બીજા કોઈની જેમ જીવવાનો અધિકાર છે." તેમણે હિન્દુ શાસ્ત્રો અને પૌરાણિક કથાઓનો પણ ઉલ્લેખ કર્યો, નોંધ્યું કે ભારતીય સંસ્કૃતિએ હંમેશા આવા સમુદાયોને સ્વીકાર્યા છે. ઑક્ટોબર 2019 માં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં, તેમણે મહાભારત માંથી શિખંડીનું ઉદાહરણ આપતા કહ્યું, "આને મુખ્ય મુદ્દો બનાવવાનો કોઈ ફાયદો નથી; સમાજે સમય સાથે વિકાસ કરવો જોઈએ."
RSS એ જાળવી રાખ્યું છે કે LGBTQ સમુદાયના સભ્યો સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. જો કે, સમલૈંગિક લગ્ન અંગે સંગઠનનો અલગ મત છે. 2023 માં, સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો, આ નિર્ણયનું RSS એ સ્વાગત કર્યું હતું. RSS પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું હતું કે, "સમાજ-લૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે. આ વિષય પર સંસદમાં ગંભીર ચર્ચા થઈ શકે છે." 2018 માં, સુપ્રીમ કોર્ટે કલમ 477 હેઠળ પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કર્યા હતા. તે ચુકાદા બાદ, આરએસએસ પ્રવક્તા અરુણ કુમારે જણાવ્યું હતું કે, "અમે પણ સુપ્રીમ કોર્ટ સાથે સંમત છીએ કે સમલૈંગિક પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી બનેલા સંબંધો ગુનો નથી."