05 January, 2026 07:37 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આ જમીન ગરીબ પરિવારોને રહેઠાણ માટે આ જમીન ફાળવવામાં આવી રહી છે એટલે વહીવટી તંત્રે કબજો સોંપતાં પહેલાં કાટમાળ દૂર કર્યો હતો
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના અસમોલી પોલીસ-સ્ટેશન ક્ષેત્રમાં ગ્રામ સમાજની જમીન પર બાંધવામાં આવેલી ગેરકાયદે મદીના મસ્જિદને મસ્જિદ કમિટી દ્વારા રાતોરાત તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ વહીવટી તંત્રે બાકીનો કાટમાળ દૂર કરવા અને આ વિસ્તાર સાફ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. કમિટીને મસ્જિદ હટાવવા માટે રવિવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પણ શનિવારે જ કમિટીએ એના દરવાજા, લોખંડની જાળી સહિતના સામાનને દૂર કર્યો હતો અને દીવાલો તોડવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસે બાકીનું કામ બુલડોઝરે પૂરું કર્યું હતું.
ઘણાં વર્ષોથી આ મસ્જિદ વિવાદના કેન્દ્રમાં રહી હતી. ૨૦૧૮થી આ વિશે વિવાદ ચાલી રહ્યો હતો. ૨૮ ડિસેમ્બરે નાયબ તહસીલદાર બબલુકુમારે મસ્જિદનું નિરીક્ષણ કર્યું હતું અને બાંધકામ ગેરકાયદે જણાતાં હાજી શમીમના વિરોધમાં આદેશ બહાર પાડ્યો હતો. દંડથી બચવા માટે લોકોએ જાતે જ મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યો હતો.
આ જમીન ગરીબ પરિવારોને રહેઠાણ માટે આ જમીન ફાળવવામાં આવી રહી છે એટલે વહીવટી તંત્રે કબજો સોંપતાં પહેલાં કાટમાળ દૂર કર્યો હતો. મસ્જિદના બાકીના ભાગોને પણ વહીવટી બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા હતા. તહસીલદારે જણાવ્યું હતું કે જમીન ગરીબો માટે છે અને ટૂંક સમયમાં કબજો આપવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી વિસ્તારને સાફ કરવા અને ફાળવણીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કરવામાં આવી હતી.