15 March, 2026 10:40 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોનમ વાન્ગચુક
સરકારે ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ સોનમ વાન્ગચુકની નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA)ની જોગવાઈ હેઠળની અટકાયતને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે. ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં લદ્દાખમાં રાજ્યના દરજ્જા માટે થયેલાં વિરોધ-પ્રદર્શનો હિંસક બન્યા બાદ વાન્ગચુકની અટકાયત કરવામાં આવી હતી અને લગભગ ૬ મહિના સુધી તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે વાન્ગચુક આ કાયદા હેઠળ અટકાયતનો લગભગ અડધો સમયગાળો પસાર કરી ચૂક્યા છે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે તેઓ સોનમ વાન્ગચુકનાં ભાષણોના વિડિયો આ અઠવાડિયે જોશે અને વાન્ગચુકની પત્ની ગીતાંજલિ જે. એગ્મો દ્વારા કરવામાં આવેલી અરજી પર ૧૭ માર્ચે અંતિમ સુનાવણી કરશે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી. બી. વરાલોની બેન્ચે કહ્યું હતું કે જજ વિડિયો જોશે અને તેમણે રજિસ્ટ્રારને સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
આ સંદર્ભમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર લદ્દાખ માટે તમામ જરૂરી સુરક્ષા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરે છે અને આશા રાખે છે કે આ પ્રદેશને લગતા મુદ્દાઓ રચનાત્મક જોડાણ અને સંવાદ દ્વારા ઉકેલવામાં આવશે, જેમાં હાઈ પાવર્ડ સમિતિની પદ્ધતિ તેમ જ અન્ય યોગ્ય પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.
૨૦૨૫માં ૨૪ સપ્ટેમ્બરે લેહમાં ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં સોનમ વાન્ગચુકની ૨૬ સપ્ટેમ્બરે NSAની જોગવાઈઓ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુથી લેહના જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર અટકાયત કરવામાં આવી હતી.