17 August, 2026 10:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
BCIના અધ્યક્ષ મનનકુમાર મિશ્રા
બૅન્ગલોરસ્થિત નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટી (NLSIU)ના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)ના અધ્યક્ષ મનનકુમાર મિશ્રા અને ભારતના ચીફ જસ્ટિસની હાજરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. NLSIU સમુદાયે NALSAR યુનિવર્સિટી ઑફ લૉ (હૈદરાબાદ)ના વિદ્યાર્થીઓ અને ફૅકલ્ટી સામે BCI દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી અને NALSARના વિદ્યાર્થીઓ સાથે બિનશરતી એકતા વ્યક્ત કરી હતી.
શનિવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદન પર NLSIUના ૨૦૨૬ના બૅચના ૧૬૫ ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ, ૪૦૯ વર્તમાન વિદ્યાર્થીઓ અને ૧૨૮ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સહી કરી હતી. NLSIUના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ‘દીક્ષાંત સમારોહ એ વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દીમાં એક ઐતિહાસિક ક્ષણ છે અને તેમના પરિવાર માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહનરૂપ છે. વિદ્યાર્થીઓ પ્રત્યે જાહેરમાં તિરસ્કાર વ્યક્ત કરનારી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓને ડિગ્રી આપવા માટે આમંત્રણ આપવું એ અપમાનજનક છે અને વિદ્યાર્થીઓના સંઘર્ષોની મજાક ઉડાવવા સમાન છે.’
વિદ્યાર્થીઓએ NALSARના દીક્ષાંત સમારંભમાં ચીફ જસ્ટિસને મુખ્ય મહેમાન બનાવવા પર પુનર્વિચાર કરવાની માગણીને સમર્થન આપ્યું હતું. NLSIUના વિદ્યાર્થીઓએ સમાન કારણોસર ચીફ જસ્ટિસની તેમના દીક્ષાંત સમારંભમાં હાજરી સામે ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
BCIના અધ્યક્ષે પત્ર લખીને માફી માગી
શુક્રવારે મોડી સાંજે BCIના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ ખુલ્લો પત્ર લખીને જાહેર માફી માગી હતી જેમાં લખ્યું હતું કે ‘વર્તમાન વિવાદ સાથે જોડાયેલી કોઈ પણ વાત, મારા કોઈ શબ્દ કે પત્રથી અમારા લૉના સ્ટુડન્ટ્સની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું એ માટે માફી માગું છું. મને એવું કહેવામાં કોઈ સંકોચ નથી. આ કોઈ ઈગોની બાબત નથી. આ માત્ર એ વાતની સ્વીકૃતિ છે કે આપણા વિદ્યાર્થીઓની ભાવનાઓ અને ચિંતાની મને દરકાર છે.’