24 February, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે તહેવારો અને વેકેશનના સમયમાં પ્રાઇવેટ ઍરલાઇન્સની ટિકિટોની કિંમતોમાં બેફામ વધારો થાય છે એ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જનહિતની એક યાચિકાની સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારને ૪ વીકમાં ઍફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કરીને આ બાબતે કયાં પગલાં લેવાઈ રહ્યાં છે એ જણાવવા કહ્યું હતું.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી આ મુદ્દે વિચાર કરી રહી છે. ત્યારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્ર સરકાર અને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ને વિચાર કરીને અસરકારક પગલાં લેવા માટે ૪ અઠવાડિયાંનો સમય આપ્યો છે.
જનહિતની એક યાચિકામાં પ્રાઇવેટ ઍરલાઇન્સ માટે તહેવારોના સમયમાં અચાનક ભાડામાં વધારો કે વધુ ફી વસૂલવા પર કન્ટ્રોલ લાવવા વિશેનો નિયમ બનાવવાની માગણી કરવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી ૨૩ માર્ચે થશે.
ઍરલાઇન્સે ઇકૉનૉમી ક્લાસમાં ફ્રી ચેક-ઇન બૅગેજની મર્યાદા ૨૫ કિલોથી ઘટાડીને ૧૫ કિલો કરી નાખી છે. સાથે જ તેઓ છૂપા ચાર્જ અને ડાયનૅમિક પ્રાઇસિંગના માધ્યમથી મુસાફરો પાસેથી વધુ પૈસા વસૂલ કરે છે. હાલમાં કોઈ પણ સરકારી સંસ્થા પાસે ઍરટ્રાવેલનાં ભાડાં પર સીધો કન્ટ્રોલ કે મર્યાદા નક્કી કરવાનો અધિકાર નથી એને કારણે ઍરલાઇન્સ કિંમત વધારવામાં મનમાની કરી શકે છે. સિવિલ એવિએશન સેક્ટરમાં પારદર્શકતા અને મુસાફરોની સુરક્ષા માટે એક મજબૂત અને સ્વતંત્ર રેગ્યુલેટર બનાવવામાં આવે જેથી સામાન્ય જનતાને ઇમર્જન્સીના સમયમાં વધારે ભાડું ચૂકવવામાંથી રાહત મળે.