Pegasus:સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા કર્યો આદેશ, જાસુસી મામલે કરશે તપાસ 

27 October, 2021 01:00 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની વિશેષ કમિટીનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો છે.  જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ આરવી રવીન્દ્રન કરશે.

સુપ્રીમ કોર્ટ

પેગાસસ (Pegasus)જાસુસી મામલે સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે એટલે કે બુધવારે આદેશ જાહેર કર્યો છે. આદેશ મુજબ સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની વિશેષ કમિટીનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો છે.  જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ આરવી રવીન્દ્રન કરશે. આ સિવાય પૂર્વ આઈપીએસ અધિકારી આલોક જોશી અને ડૉ. સંદીપ ઓબેરોય કમિટીના સભ્ય રહેશે. સુપ્રીમ કોર્ટે કમિટીને પેગાસસ સંબંધિત તમામ આરોપોની ઊંડાણપૂર્વ તપાસ કરવા અને અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવા માટે આઠ મહિનાનો સમય આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેગાસસની સત્યતાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. વધુમાં કોર્ટે કહ્યું કે ગુપ્તતાના અધિકારના ઉલ્લંઘનની તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતના નાગરિકોની દેખરેખમાં વિદેશી એજન્સીની સંડોવણી ગંભીર ચિંતાનો વિષય છે.     

આ મામલે કેન્દ્ર સરકારને લઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે કેન્દ્રએ કોઈ વિશેષ દરમિયાનગીરી કરી નથી.આમ, અરજદારની અરજી પ્રથમ દૃષ્ટિએ સ્વીકારવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને અમે નિષ્ણાત સમિતિની નિમણૂક કરીએ છીએ જેનું કામ સુપ્રીમ કોર્ટ દ્વારા જોવામાં આવશે. 

સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં કેન્દ્ર સરકાર દ્વારા તેના બચાવમાં રાષ્ટ્રીય સુરક્ષાની દલીલ સામે વાંધો ઉઠાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ ઉભી કરીને દર વખતે રાજ્યને રાહત મળી શકે નહીં. કેન્દ્રએ અહીં તેના સ્ટેન્ડને યોગ્ય ઠેરવવું જોઈએ અને કોર્ટને મૂક પ્રેક્ષક બની રહેવાનું કહેવું જોઈએ નહીં. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ મામલામાં વિગતવાર એફિડેવિટ દાખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો યુગ છે અને તે આપણા રોજિંદા જીવન માટે જરૂરી છે, સાથે જ નાગરિકોની ગોપનીયતાની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જ્યારે ગોપનીયતાના અધિકારને પ્રતિબંધિત કરવામાં આવે છે, ત્યારે તે બંધારણીય સલામતી દ્વારા બંધાયેલ હોવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે જ ગોપનીયતા પર પ્રતિબંધ લાદી શકાય છે.

ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ આદેશ આપ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીનો સમાવેશ થાય છે. તે જ સમયે, પેગાસસ જાસૂસી કેસની તપાસને લઈને 12 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમાં એડવોકેટ એમએલ શર્મા, સીપીઆઈ(એમ)ના સાંસદ જોન બ્રિટાસ, પત્રકાર એન રામ, આઈઆઈએમના ભૂતપૂર્વ પ્રોફેસર જગદીપ ચોકર, નરેન્દ્ર મિશ્રા, પરંજોય ગુહા ઠાકુરતા, રૂપેશ કુમાર સિંહ, એસએનએમ અબ્દી, ભૂતપૂર્વ નાણા મંત્રી યશવંત સિંહા અને એડિટર ગિલ્ડ ઑફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. (

national news supreme court