૧૩ દિવસ સુધી પત્ની સાથે વાત ન કરવી એ ક્રૂરતા નથી

06 June, 2026 07:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે આવું કહીને પત્નીની આત્મહત્યાના કેસમાંથી પતિને છોડી મૂક્યો

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પત્નીની આત્મહત્યાના કેસમાં દોષી ઠરેલા પુરુષને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે થોડા દિવસો સુધી પત્ની સાથે વાત ન કરવી એ ક્રૂરતા નથી અને આ આધારે પતિને દોષી ઠેરવી શકાતો નથી. પતિએ ૧૩ દિવસ સુધી પત્ની સાથે વાત ન કરી એને ક્રૂરતા ગણાવીને પત્નીની આત્મહત્યા માટે નીચલી અદાલત અને મદ્રાસ હાઈ કોર્ટે પતિને દોષી ઠેરવ્યો હતો.
જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદની બેન્ચે પુરુષને નિર્દોષ જાહેર કરીને જણાવ્યું હતું કે નક્કર પુરાવાના અભાવે આ કેસનાં તથ્યોના સંદર્ભમાં પતિની પત્ની સાથે ૧૩ દિવસ સુધી વાત ન કરવી એ ક્રૂરતા ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં અપીલકર્તા અને મૃ​ત્યુ પામેલી વ્યક્તિ વચ્ચે કોઈ સંઘર્ષ નહોતો. પતિ સામે ક્રૂરતાના આરોપોને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા નથી અને હાઈ કોર્ટના નિર્ણયમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોર્ટે કહ્યું કે ‘ચુકાદો આપતી વખતે એ જોવું જરૂરી છે કે શું કારણ એટલું ગંભીર છે કે જેણે પત્નીને સુસાઇડ કરવા માટે મજબૂર કરી દીધી? શું તેને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી કે તેની માનસિક પરિસ્થિતિને અસર થઈ છે?’

કોર્ટે ઠરાવ્યું હતું કે ઇન્ડિયન પીનલ કોડની કલમ 498A હેઠળ નાના ઝઘડાને ક્રૂરતા ગણી શકાય નહીં. બેન્ચે જણાવ્યું હતું કે આરોપીઓનાં તથ્યો, સંજોગો અને કાર્યોનું વિશ્લેષણ કરવાની અને એમની અસરનું મૂલ્યાંકન કરવાની જવાબદારી અદાલતોની છે. નીચલી અદાલત અને હાઈ કોર્ટે ઠરાવ્યું હતું કે પતિ દ્વારા તેની પત્ની સાથે વાતચીત કરવાનો ઇનકાર કરવો એ કલમ 498A હેઠળ ક્રૂરતા ગણાય છે અને પતિને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

national news india supreme court indian government sex and relationships suicide