19 August, 2022 09:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકારને ૧૦ દિવસની અંદર જનહિતની એક અરજીના મામલે જવાબ દાખલ કરવાનું જણાવ્યું હતું, જેમાં દવાઓ લખવા માટે ડૉક્ટરોને પ્રોત્સાહન આપવા મોંઘી ભેટ-સોગાદ આપનાર ફાર્મા કંપનીઓને જવાબદાર ઠેરવવા માટે આદેશ આપવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચના જજોને માહિતી આપવામાં આવી હતી કે ડોલો-૬૪૦એમજી ટૅબ્લેટ બનાવનાર કંપનીએ ડૉક્ટરોને ૧૦૦૦ કરોડ રૂપિયાની ભેટ-સોગાદ આપી છે, જેના બદલામાં આ ડૉક્ટરોએ આ દવા લેવા માટે દરદીઓને ભલામણ કરી હતી. જસ્ટિસ ચંદ્રચૂડે આ વિશે ટિપ્પણી કરી હતી કે ‘કોવિડ દરમ્યાન મને પણ આ ટૅબ્લેટ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.’ ફાર્મા કંપની દ્વારા અનૈતિક માર્કેટિંગ દ્વારા ડૉક્ટરોને તેમની દવાઓનાં પ્રિસ્ક્રિપ્શન માટે દબાણ કે તો લાલચ આપવામાં આવે છે. અગાઉ પણ કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એનો જવાબ આપવામાં આવ્યો નથી. અરજીમાં જણાવાયું છે કે આવાં અનેક ઉદાહરણ છે જેમાં ફાર્મા કંપનીઓ ભ્રષ્ટાચાર દ્વારા દરદીઓના આરોગ્યને જોખમમાં નાખે છે.