20 September, 2026 02:17 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી ઑફિસોમાં હાથ ધરેલાં વિશેષ સ્વચ્છતા અભિયાનોમાં ભંગારના નિકાલથી ૫૧૦૨.૯૧ કરોડ રૂપિયાથી વધુની આવક ઊભી કરી છે. આ અભિયાનોનો ઉદ્દેશ સરકારી કચેરીઓમાં સ્વચ્છતાને નિયમિત પ્રથા બનાવવાની સાથે-સાથે પડતર ફાઇલોનો નિકાલ કરવાનો, રેકૉર્ડ્સ વ્યવસ્થિત કરવાનો અને ઑફિસમાં વધુ ઉપયોગી જગ્યા ઊભી કરવાનો છે.
આ સંદર્ભમાં પર્સોનેલ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ૨૦૨૧થી શરૂ થયેલા આ અભિયાનની પાંચ વાર્ષિક આવૃત્તિઓ અને આ વર્ષના જુલાઈ સુધીમાં સચિવાલયમાં ૨૪.૨૦ લાખથી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમ્યાન ૧૮૦.૪૮ લાખથી વધુ ફાઇલોનો નિકાલ કરવામાં આવ્યો છે અથવા બંધ કરવામાં આવી છે. ભંગારના નિકાલથી ૫૧૦૨.૯૧ કરોડ રૂપિયાની આવક થઈ છે.
પાંચમા વર્ષના સ્વચ્છતા અભિયાનમાં ૧૧.૬ લાખ સ્થળો આવરી લેવામાં આવ્યાં હતાં અને એના પરિણામે ૨૯.૫૨ લાખ ફાઇલોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા ૨૩૩.૭૫ લાખ ચોરસફુટ ઑફિસની જગ્યા પણ ખાલી કરાવવામાં આવી હતી અને ભંગારના નિકાલ દ્વારા આશરે ૮૩૩.૯૨ કરોડ રૂપિયાની આવક થઈ હતી.