19 March, 2026 09:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે કૅબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે મીડિયાને માહિતી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની કૅબિનેટની બેઠકમાં દેશના ઔદ્યોગિક વિકાસ અને માળખાગત સુવિધાઓને વેગ આપવા પર ભાર મૂકવા સહિત અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પત્રકાર-પરિષદમાં પ્રધાનમંડળની આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરકારે દેશમાં ઔદ્યોગિક ક્રાન્તિ લાવવા માટે ‘ભારત ઔદ્યોગિક વિકાસ યોજના’ (BHAVYA)ને અમલી બનાવવા મંજૂરી આપી છે અને આ યોજનાને ‘ભવ્ય’ નામ અપાયું છે.
દેશમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકારે ૩૩,૬૬૦ કરોડ રૂપિયાની ખાસ ફાળવણી કરી છે. આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં ૧૦૦ નવા ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે. આ પાર્કમાં ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓ જેવી કે જમીન, વીજળી, પાણી અને કનેક્ટિવિટી પહેલેથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી રોકાણકારો સરળતાથી પોતાના એકમો સ્થાપી શકે. આ પગલાથી લાખોની સંખ્યામાં રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
આ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયોનો આશય દેશના પાયાના માળખાને વધુ મજબૂત કરીને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનો અને સામાન્ય જનતા માટે રોજગારનાં નવાં દ્વાર ખોલવાનો છે.