25 March, 2026 10:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે વ્યક્તિ હિન્દુ, સિખ કે બૌદ્ધ સિવાય અન્ય ધર્મ અપનાવે છે તે અનુસૂચિત જાતિની સભ્ય ન હોઈ શકે. અન્ય કોઈ પણ ધર્મમાં ધર્માંતરણ કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે. બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિત વ્યક્તિ (શેડ્યુલ્ડ કાસ્ટ/શેડ્યુલ્ડ ટ્રાઇબ) SC/ST કાયદા હેઠળ રક્ષણનો દાવો કરી શકતી નથી.
આ મુદ્દે ન્યાયાધીશ પી. કે. મિશ્રા અને એન. વી. અંજારિયાની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ‘અન્ય કોઈ પણ ધર્મમાં ધર્માંતરણ કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે. જે વ્યક્તિ હિન્દુ, સિખ અથવા બૌદ્ધ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરે છે તેને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે માન્યતા આપી શકાતી નથી.’
સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિઓ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને સક્રિય રીતે એનો સ્વીકાર કરે છે તેઓ તેમનો SC દરજ્જો જાળવી શકતા નથી.