07 September, 2026 07:18 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
શારદેન્દુ તિવારી
લખનઉના ૨૭ વર્ષના એન્જિનિયર શારદેન્દુ તિવારીએ ભારતીય સેનામાં જોડાવા માટે ટેક્નૉલૉજી ક્ષેત્રમાં વાર્ષિક લગભગ ૪૬ લાખ રૂપિયાના પગારવાળી નોકરી છોડી દીધી છે. તે ઍમૅઝૉનમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને શનિવારે બિહારના ગયા સ્થિત ઑફિસર્સ ટ્રેનિંગ ઍકૅડેમી (OTA)માં આર્મી ઑફિસર તરીકે કમિશન મેળવ્યું હતું. તેને સિનિયર અન્ડર ઑફિસર (SUO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જે ઍકૅડેમીમાં કૅડેટ દ્વારા સંભાળી શકાય એવા સૌથી પ્રતિષ્ઠિત હોદ્દાઓમાંનો એક છે.
ઘણા ટેક પ્રોફેશનલો માટે ઍમૅઝૉનની જૉબ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, પરંતુ શારદેન્દુ માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવાની ઇચ્છા કૉર્પોરેટ જીવનની સુખ-સુવિધાઓ કરતાં વધારે હતી. શારદેન્દુને ઍરોસ્પેસ કંપની ઍરબસમાં કારકિર્દી બનાવવાની તક પણ મળી હતી, પરંતુ આ નોકરી પણ તેણે સ્વીકારી નહોતી.
પિતાથી પ્રેરિત આ નિર્ણય લેવા પાછળ શારદેન્દુની કૌટુંબિક પૃષ્ઠભૂમિ કારણભૂત માનવામાં આવે છે. બીજી પેઢીના સૈનિક શારદેન્દુના પિતા માનદ કૅપ્ટન રાજ કુમાર તિવારી આર્મી સર્વિસ કૉર્ઝમાં સેવા આપતા હતા અને શારદેન્દુએ પિતાને હંમેશાં યુનિફૉર્મમાં જોયા હતા. પિતાએ નિવૃત્તિ લેતા પહેલાં ૩૬ વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરી હતી, જેની પુત્ર પર કાયમી છાપ પડી હતી.
શારદેન્દુએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)માં બૅચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને ત્યાર બાદ પંજાબ એન્જિનિયરિંગ કૉલેજ, ચંડીગઢમાંથી કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફર્મેશન સિક્યૉરિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ટેક્નૉલૉજી ઉદ્યોગમાં સફળ કારકિર્દી હોવા છતાં, તે આર્મીમાં જોડાવાના પોતાના ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યો હતો. શારદેન્દુએ આર્મીની પસંદગી-પ્રક્રિયાઓમાં ૮ વખત હાજરી આપી હતી અને આખરે એમાં સફળ થયો હતો.