06 March, 2026 10:16 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
મનોજકુમાર ઝા
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર દ્વારા રાજ્યસભામાં પ્રવેશ મેળવવા બિહારનું મુખ્ય પ્રધાનપદ છોડવાના સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રીય જનતા દલના સંસદસભ્ય મનોજકુમાર ઝાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીના અમેરિકા દ્વારા કરાયેલા અપહરણ સાથે જોડીને આ રાજકીય ઘટનાને ‘માદુરો મૉડલની દેશી આવૃત્તિ’ ગણાવી છે. તેમણે આ કિસ્સાને ‘સંમતિથી અપહરણ’ જેવો વિચિત્ર પણ ગંભીર કિસ્સો ગણાવ્યો છે.
મનોજકુમાર ઝાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ‘આ દેશી મૉડલમાં વ્યક્તિ પોતે સંમતિ નથી આપતી, પરંતુ આવી વ્યક્તિને તેની આસપાસના લોકો દ્વારા સંમતિ માટે દબાણ કરવામાં આવે છે અથવા આવી વ્યક્તિનું ઇમોશનલ બ્લૅકમેઇલિંગ કરવામાં આવે છે.’
મનોજકુમાર ઝાએ ઉમેર્યું હતું કે ‘જ્યારે આસપાસના લોકો વ્યક્તિ વતી નિર્ણયો લેવા લાગે અને એને સંમતિનું નામ આપવામાં આવે ત્યારે એ લોકશાહી નહીં પણ સંમતિથી થયેલું અપહરણ બની જાય છે.’
મનોજકુમાર ઝાના આ નિવેદન બાદ વિપક્ષી છાવણીમાં ગરમાવો આવી ગયો છે. તેમનું આ માદુરો મૉડલવાળું નિવેદન આગામી સમયમાં સરકાર અને વિપક્ષને ઉગ્ર સંઘર્ષ તરફ લઈ જશે.