10 November, 2025 02:46 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
જંતર-મંતર પર જ્યાં એક વ્યક્તિએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી તે સ્થળને સફેદ કપડાથી ઢાંકવામાં આવ્યું (તસવીર: એજન્સી)
દેશના પાટનગર દિલ્હીમાં હવાના પ્રદૂષણ અને કથળી રહેલી હવાની ગુણવત્તા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જોકે તેમાં એક દુઃખદ ઘટના બની હોવાના અહેવાલ મળી રહ્યા છે. ૧૦ નવેમ્બર, સોમવારે દિલ્હીના જંતર-મંતર પર એક વ્યક્તિએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના તે સ્થળ પર વિરોધ પ્રદર્શન શરૂ થવાના થોડા સમય પહેલા જ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે કથિત મધ્યપ્રદેશનો રહેવાસી આ વ્યક્તિ, દિલ્હી પોલીસે પરવાનગી આપેલા પ્રદર્શનમાં ભાગ લેવા માટે અહીં આવ્યો હતો.
પ્રદર્શન શરૂ થાય તે પહેલાં પ્રદર્શનકારીએ આત્મહત્યા કરી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ જંતર-મંતર પર પોલીસે સ્થાપિત મૅટલ ડિટેક્ટર ગેટ પાસે એક ચાની દુકાન નજીક બની હતી. વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ આ વ્યક્તિએ પોતાને ગોળી મારી દીધી હોવાનું કહેવાય છે. તેની ઓળખ હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. ઘટના પછી તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. "તેની ઓળખ હજી સુધી થઈ નથી. પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે, અને તેને ઘેરી લેવામાં આવ્યું છે." તપાસકર્તાઓ ઘટનાની આસપાસના સંજોગો ચકાસી રહ્યા છે, અને કેસ નોંધવામાં આવ્યો છે.
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન અટકાયત સાથે સમાપ્ત
દરમિયાન, વિદ્યાર્થીઓ અને કાર્યકરો સહિત સો કરતાં વધુ નાગરિકો રવિવારે ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણ સ્તર સામે વિરોધ કરવા માટે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ, જેમાં ઘણાના હાથમાં ‘સાફ હવા સબકા હક હૈ’ (સ્વચ્છ હવા દરેકનો અધિકાર છે) લખેલા પ્લેકાર્ડ હતા, તેમણે પ્રદૂષણને કાબુમાં લેવા માટે સરકારના મજબૂત પગલાં લેવાની માંગ કરી હતી.
પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં વિરોધ પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યું. વિખેરાઈ જવાનો ઇનકાર કર્યા બાદ લગભગ 55 સહભાગીઓની અટકાયત કરવામાં આવી હતી. સાંજે મોડેથી, કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM) એ શહેરના પ્રદૂષણ સ્તરની સમીક્ષા કરી પરંતુ ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાનના સ્ટેજ III ને લાગુ ન કરવાનો નિર્ણય લીધો, જેમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો. કેટલાક પ્રદર્શનકારીઓએ રખડતા કૂતરાઓના સ્થળાંતર અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ પર પણ ચિંતા વ્યક્ત કરી, આરોપ લગાવ્યો કે આ પગલામાં પ્રાણીઓની સંભાળ માટે પૂરતા આયોજન અને સંસાધનોનો અભાવ છે.