16 August, 2026 03:48 PM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય વિમાનમથક રવિવાર, ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ એક લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી હતી. આ ઘટનામાં ઍરપોર્ટ પર તહેનાત બે AAICLAS સ્ક્રીનર ઘાયલ થયા હતા. બન્નેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ, ન્યૂ લક્ષ્મી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સવારે ૯:૩૦ વાગ્યે ટર્મિનલ બિલ્ડિંગની અંદર બની હતી. આઝમગઢના ભૂતપૂર્વ સૈનિક કમલેશ રાય તેમની પત્ની સાથે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઈ જઈ રહ્યા હતા. તેમણે નિયમ મુજબ મુંબઈ ઍરપોર્ટ પર પોતાની લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલનું પરિવહન બુક કરાવ્યું હતું. બંદૂકનું નિરીક્ષણ અને ગોળીઓની ગણતરીની ચકાસણી થઈ રહી હતી ત્યારે આકસ્મિક રીતે ગોળી ચાલી. ઍરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, પિસ્તોલ ભરેલી હતી. ગોળી પહેલા ફ્લોર પર વાગી અને પછી નજીકમાં ઉભેલી ૨૭ વર્ષીય મહિલા કર્મચારી સુમનને વાગી. સુમન મૂળ બિહારના ગયાની રહેવાસી છે. તેને જમણા પગ અને જાંઘમાં ઈજા થઈ હતી, તેમજ શરીરના નીચેના ભાગમાં પણ ઈજા થઈ હતી. નજીકમાં ઉભેલા અન્ય એક કર્મચારીને પણ તેના જમણા હાથ અને અંગૂઠામાં વાગ્યું હતું. ગોળીબારના અવાજથી ટર્મિનલ બિલ્ડિંગમાં થોડો સમય માટે ગભરાટ ફેલાયો હતો. CISF અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. બન્ને ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર શરૂ થઈ.
ઍરપોર્ટ ડિરેક્ટર પુનીત ગુપ્તાએ જણાવ્યું, "રવિવારે સવારે લગભગ ૯:૩૦ વાગ્યે, ફ્લાઇટ IX-૧૮૧૦ માં મુંબઈ જઈ રહેલા એક મુસાફર સાથે તેની પત્ની પણ હતી. તેણે હથિયાર પોતાની પાસે હોવાનું જાહેર કર્યું હતું. હથિયારની તપાસ દરમિયાન, મુસાફરથી આકસ્મિક રીતે ગોળી ચાલી હતી, જેમાં બે AAICLAS સ્ક્રીનર ઘાયલ થયા હતા. બન્નેને સારવાર માટે સાતોમાહુઆના ન્યૂ લક્ષ્મી ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે."
DCP (ગોમતી ઝોન) નીતુ કાદ્યાને જણાવ્યું, "મુસાફર પાસે લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલ હતી. સુરક્ષા તપાસ દરમિયાન - જ્યારે હથિયારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને ગોળીઓ ગણાઈ રહી હતી - ત્યારે આકસ્મિક રીતે ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી તપાસ કરી રહેલી મહિલાના પગમાં અને નજીકમાં ઉભેલી અન્ય વ્યક્તિના અંગૂઠામાં વાગી હતી, જેનાથી બન્ને ઘાયલ થયા હતા." ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઍરપોર્ટ સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ મુસાફરની પૂછપરછ કરી રહી છે. કયા સંજોગોમાં હથિયાર ફાયર કરવામાં આવ્યું અને સુરક્ષા પ્રક્રિયા દરમિયાન નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી આ બાબત અંગે વધુ વિગતો જાહેર થવાની અપેક્ષા છે.