19 September, 2021 12:03 PM IST | Panjee | Agency
અઢી કરોડ વૅક્સિન લોકોને મુકાઈ પણ તાવ એક રાજકીય પક્ષને આવ્યો : મોદી
એક દિવસમાં અઢી કરોડ નાગરિકોને ઍન્ટિ કોવિડ વૅક્સિન અપાયાની ઘટનાની આડઅસર ચોક્કસ રાજકીય પક્ષને થઈ હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગયા શુક્રવાર ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાનના ૭૧મા જન્મ દિન નિમિત્તે સમગ્ર દેશમાં વ્યાપક રસીકરણ અભિયાન બાબતે કૉન્ગ્રેસીઓએ વ્યક્ત કરેલા પ્રત્યાઘાતો તરફ વડા પ્રધાને કટાક્ષ કર્યો હતો. તેમણે ઍન્ટિ કોવિડ વૅક્સિનેશનના ફર્સ્ટ ડોઝની કામગીરી ૧૦૦ ટકા પૂરી કરવા બદલ ગોવાના હેલ્થ કૅર વર્કર્સને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ગઈ કાલે ગોવા રાજ્ય સરકારના અધિકારીઓ, સ્થાનિક રાજકારણીઓ અને હેલ્થ વર્કર્સને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું.
વડા પ્રધાને ગોવા મેડિકલ કૉલેજના કમ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરર ડૉ. નીતિન ધુપડલે સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘હું કોઈ ડૉક્ટર કે મેડિકલ એક્સપર્ટ નથી, પરંતુ ઍન્ટિ કોવિડ વૅક્સિન લેનારા ૧૦૦ જણમાંથી એક કે બે જણને આડઅસરો થતી હોવાનું જાણ્યું છે. શુક્રવારે ૨.૫ કરોડ લોકોને વૅક્સિન આપવાનું શક્ય બન્યું હતું. એ કદાચ એક દિવસમાં ઍન્ટિ કોવિડ વૅક્સિનેશનનો સમગ્ર વિશ્વનો વિક્રમરૂપ આંકડો છે. એ આંકડો જાહેર કરાયા પછી ચોક્કસ રાજકીય પક્ષ વિચિત્ર આડઅસરો અને પ્રત્યાઘાતો દર્શાવે છે. એ આડઅસરો વિશે તમે કઈ સમજાવી શકશો?એ ક્યા પ્રકારનો તાવ હતો મને નથી ખબર’